ભુજ, તા. 9 : કચ્છમાં છેલ્લા એક સપ્તાહથી
મેઘ વિરામની સ્થિતિ જોવા મળી રહી છે. ધૂપછાંવના માહોલ વચ્ચે જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં
મહત્તમ પારો ઊંચકાતાં ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે છૂટાછવાયા સ્થળે હળવા
વરસાદની આગાહી યથાવત્ રાખી છે. અંજાર-ગાંધીધામમાં મહત્તમ પારો 36 ડિગ્રીએ પહોંચ્યો હતો. મુંદરા
બ્યૂરોના અહેવાલ અનુસાર રવિવારે આગાહી વચ્ચે મુંદરા શહેરમાં સવારે પોણા અગિયારના અરસામાં
વરસાદી માહોલ સર્જાયો હતો અને જોરદાર વરસાદી ઝાપટું પડયું હતું જેમાં રસ્તા પર પાણી
ફરી વળ્યા હતા. સવારે આ ઝાપટાં બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે, જિલ્લામાં અન્યત્ર કયાંય પણ વરસાદ વરસ્યો હોય
તેવા અહેવાલ મળ્યા નથી. કંડલા (એ.)માં 36 અને ભુજમાં 34.7 તેમજ કંડલા પોર્ટમાં 34 ડિગ્રી મહત્તમ સામે તમામ મથકોમાં લઘુતમ તાપમાન 25થી 27 ડિગ્રી વચ્ચે રહેતાં વાતાવરણમાં ઉકળાટ અનુભવાયો હતો. હવામાન
નિષ્ણાતોના મતે હજુ આગામી સપ્તાહ સુધી ભારે વરસાદ લાવે તેવી કોઇ સિસ્ટમ સર્જાવાની સંભાવના
નહિવત છે.