નવી દિલ્હી, તા. 12 : પશ્ચિમ એશિયામાં
તાણે સર્જેલા ઇંધણ સંકટ વચ્ચે સરકારે શુક્રવારે એક મોટો ફેંસલો કરતાં કહ્યું હતું કે, ગ્રાહકો એક દિવસમાં 200 લિટરથી વધુ ડીઝલ નહીં ખરીદી
શકે. પેટ્રોલિયમ મંત્રાલયના આદેશ અનુસાર હવેથી ફેક્ટરીઓ અને કોમર્શિયલ વપરાશકારોને
રિટેઈલ પમ્પો પરથી પેટ્રોલ-ડીઝલ નહીં મળે. દેશના ઘણા ભાગોમાં પમ્પો પર ડીઝલના અચાનક
વધેલા વેચાણને ધ્યાને લેતાં સરકારે આ પગલું ભર્યું છે. આ પ્રતિબંધ પ્રારંભિક દોરમાં
90 દિવસ માટે લાગુ કરાયો છે. આ
ફેંસલાથી સામાન્ય જનતાને ઇંધણની અછત નહીં રહે તેવું સરકારે કહ્યું હતું. સરકારે જણાવ્યું
હતું કે, વૈશ્વિક સ્થિતિ, પુરવઠા
સાંકળ પર દબાણ અને ઇંધણની સંગ્રહાખોરી રોકવાના હેતુ સાથે આ નિયંત્રણ મુકાયું છે. સરકારે
સ્પષ્ટ કર્યું છે કે, આ નિયમોનો ભંગ થવાના સંજોગોમાં આવશ્યક વસ્તુના
કાયદા હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરાશે. રાજ્ય સરકારો, કેન્દ્ર
શાસિત પ્રદેશોને પણ જમાખોરી, કાળાબજાર, ગેરકાયદે ડીઝલ ખરીદી, ડીઝલના ખોટા ઉપયોગ સામે કડક પગલાં
લેવાનો નિર્દેશ સરકારે આપ્યો હતો.