અમદાવાદ, તા. 25 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્ય
ચૂંટણી આયોગ દ્વારા 3895 જેટલી ગ્રામ
પંચાયતમાં ચૂંટણી યોજાઈ હતી. આજે રાજ્યના 33 જિલ્લાના 239 સ્થળે મત-ગણતરી
હાથ ધરાઈ હતી. રાત સુધીમાં જે પરિણામ જાહેર થયાં હતાં, તેમાં કુલ 4564 સરપંચો માટેની ચૂંટણીમાં 2864 સરપંચને ચૂંટાયેલા જાહેર કર્યા
હતા અને 1700 સરપંચ માટેની મત-ગણતરી ચાલુ
હતી. જ્યારે 1075 સરપંચ બિનહરીફ જાહેર કરાયા
હતા. એવી જ રીતે, ગ્રામ પંચાયતોના
સભ્ય તરીકે 39,202 બેઠકમાંથી
12,400 સભ્યનાં પરિણામ જાહેર થયા હતા
અને 26,802 સભ્ય માટેની ગણતરી ચાલુ હતી.
ગ્રામ પંચાયતો માટે 21,211 સભ્ય
બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ સામાન્ય રીતે ઈલેકટ્રોનિક વોટિંગ
મશિનને બદલે મતપત્રકની જૂની પદ્ધતિથી યોજાતી હોવાને કારણે મતગણતરીમાં સ્વાભાવિક રીતે
જ મોડું થાય છે. તે મુજબ 25મીના રાતના
8.30 વાગ્યા સુધીમાં મતગણતરી ચાલુ
જ હતી. ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ક્યારેય જે તે રાજકીય પક્ષોના ચિહ્નો હેઠળ લડાતી ન
હોવાથી ક્યા પક્ષે કઈ ગ્રામ પંચાયત કબજે કરી તે કહેવું મુશ્કેલ બને છે, પરંતુ આ ચૂંટણીઓ જે તે રાજકીય પક્ષોની સમર્થિત
પેનલો દ્વારા યોજાતી હોવાથી ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ જે તે રાજકીય પક્ષો દ્વારા
કઈ-કઈ અને કેટલી ગ્રામ પંચાયતોમાં તેમની સમર્થિત પેનલોએ હાંસલ કરી છે, તેના દાવા જરૂર કરાય છે. આ ચૂંટણી માટે 239 સ્થળે મતગણતરી હાથ ધરાઈ હતી.
જે માટે 1080 જેટલા મતગણતરી હોલ, 2771 મતગણતરી માટેનાં
ટેબલ ઉપયોગમાં લેવાયા હતા. 13,444 જેટલા
કર્મચારી આ મતગણતરીનાં કામે લાગ્યા હતા. મતગણતરી સ્થળે 14,231 જેટલા પોલિસ કર્મીઓને તૈનાત
કરાયા હતા. વર્ગ-4ના 3431 જેટલા કર્મચારી પણ આ કામગીરીમાં
સામેલ થયા હતા.