• ગુરુવાર, 26 જૂન, 2025

અંતરિક્ષમાં 41 વર્ષે તિરંગો : શુભાંશુએ રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી, તા. 25 (પીટીઆઈ) : એક રશિયન અવકાશયાનમાં રાકેશ શર્માએ અવકાશની સફર ખેડયાનાં 41 વર્ષ બાદ વધુ એક ભારતીય શુભાંશુ શુક્લે અન્ય ત્રણ અવકાશયાત્રી સાથે આજે એક્સિયોમ સ્પેસના એક કોમર્શિયલ મિશન અંતર્ગત ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર માટેની અંતરિક્ષ સફર શરૂ કરીને ઈતિહાસ આલેખ્યો હતો. આજે બપોરે 12.01 વાગ્યે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી સ્પેસએક્સનું ફાલ્કન રોકેટ સ્પેસ સેન્ટરની ઊડાન માટે સફળતાથી લોન્ચ થયું હતું, જે 28 કલાકની મુસાફરી કરીને ભારતીય સમય મુજબ આવતીકાલે સાંજે 4.30 વાગ્યે અવકાશ મથકે પહોંચશે. આ મહત્ત્વાકાંક્ષી મિશનમાં શુભાંશુ પણ સામેલ હોવાથી ભારતભરમાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાઈ હતી. એક્સિયોમનું આ મિશન છવાર મુલતવી રહ્યા બાદ અંતે આજે વિના વિઘ્ને શરૂ થયું હતું. તેમાં મૂળ લખનઉના ગ્રુપ કેપ્ટન શુભાંશુ ઉપરાંત નાસાના પૂર્વ અવકાશયાત્રી મિશન કમાન્ડર પેગ્ગી વ્હિટસન, પોલેન્ડના સ્લાવોઝ ઉઝનેન્સ્કી-વિસ્નીએવ્સ્કી અને હંગેરીના ટિબોર કાપુ સામેલ છે. અવકાશયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત થયા બાદ પ્રથમ સંદેશમાં શુભાંશુએ કહ્યું હતું કે, નમસ્કાર, મારા પ્રિય દેશવાસીઓ, શું મજા આવી... 41 વર્ષ પછી આપણે ફરીથી અવકાશમાં પહોંચ્યા છીએ અને તે એક અદ્ભુત સવારી હતી. અત્યારે આપણે પૃથ્વીની આસપાસ 7.5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફરી રહ્યા છીએ. મારા ખભા પર મારો ત્રિરંગો છે, જે મને કહી રહ્યો છે કે, હું એકલો નથી, તમે બધા મારી સાથે છો. આ વેળાએ શુભાંશુએ સ્વદેશ ફિલ્મનું ગીત યું હી ચલાચલ રાહી... ગણગણાવ્યું હતું. એક મીડિયા હેવાલ મુજબ, શુભાંશુએ અવકાશયાનની અંદરથી કહ્યું હતું કે, આ મારા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની યાત્રાની શરૂઆત નથી, આ ભારતના માનવ અવકાશ કાર્યક્રમની શરૂઆત છે અને હું ઈચ્છું છું કે, બધા દેશવાસીઓ આ યાત્રાનો ભાગ બને. તમારી છાતી પણ ગર્વથી ફૂલી જવી જોઈએ. તમારે પણ એ જ ઉત્સાહ દર્શાવવો જોઈએ. ચાલો, આપણે બધા સાથે મળીને ભારતની આ માનવ અવકાશયાત્રા શરૂ કરીએ. આભાર, જય હિન્દ, જય ભારત. 29 મેથી છ વખત પ્રક્ષેપણ મુલતવી રાખ્યા પછી, એક્સિયોમ-4 મિશન આખરે ભારતીય સમય મુજબ બપોરે 12:01 વાગ્યે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે ઉડાન ભરી હતી. 28 કલાકની મુસાફરી પછી, અવકાશયાન ગુરુવારે સાંજે લગભગ 4:30 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (આઈએસએસ) સાથે ડોક કરશે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચ્યા પછી તેઓ સ્ટેશનની મુલાકાત લેનારા શુભાંશુ પ્રથમ ભારતીય બનશે અને રાકેશ શર્માના 1984ના મિશન પછી અવકાશમાં જનારા બીજા ભારતીય બનશે. એક્સિયોમ મિશનના લોન્ચ પછી ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી ખુશી વ્યક્ત કરતાં લખ્યું હતું કે, આકાશ જીતવાથી લઈને તારાઓને સ્પર્શવા સુધીની આ સફર ભારતીય વાયુસેનાના વાયુયોદ્ધાની અદમ્ય ભાવનાથી પ્રેરિત છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક ઐતિહાસિક અવકાશ મિશન માટે રવાના થયા છે, જે રાષ્ટ્રના ગૌરવને પૃથ્વીની પેલે પાર લઈ જશે, જે અદ્ભુત ક્ષણ છે, જે સ્વોડ્રન લીડર રાકેશ શર્માના મિશનના 41 વર્ષ પછી આવી છે, જે સૌપ્રથમ આપણા ત્રિરંગાને પૃથ્વીની પેલે પાર લઈ ગયા હતા. આ અવકાશમાં એક્સિયોમ-4નું ચોથું ખાનગી મિશન છે. આ નાસા અને સ્પેસ એક્સનું સંયુક્ત મિશન છે. આ અવકાશ મિશનમાં 4 દેશના 4 અવકાશયાત્રી સામેલ છે. ચારેય અવકાશયાત્રી 14 દિવસ અવકાશમાં રહેવાના છે. શુભાંશુ અને ટીમ 28 કલાકની મુસાફરી પછી ભારતીય સમય મુજબ ગુરુવારે સાંજે 4.30 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પહોંચવાની અપેક્ષા છે. - એક્સિયમ-ચાર મિશન છ વખત રખાયું'તું મુલતવી : નવી દિલ્હી, તા. 25 : 29મેના ડ્રેગન અવકાશયાન તૈયાર ન હોવાને કારણે લોન્ચ મુલતવી રખાયું હતું. તે  8 જૂને નક્કી કરાયું હતું. ફાલ્કન નવ રોકેટ લોન્ચ માટે તૈયાર ન હોવાથી નવી તારીખ 10 જૂન અપાઇ હતી. ખરાબ હવામાનને કારણે ફરીથી  તે મુલતવી રાખવામાં આવ્યું હતું. ચોથી વખત 11 જૂને મિશન નક્કી કરાયું હતું તે વખતે ઓક્સિજન લીક થયું હતું. ત્યારબાદ 19 જૂન નવી તારીખ અપાઇ હતી. હવામાનની અનિશ્ચિતતા અને ક્રુ સભ્યોનાં સ્વાસ્થ્યને કારણે તે મુલતવી રખાયું હતું. છઠ્ઠી વખત મિશન 22 જૂને નક્કી કરાયું હતું, પરંતુ આઇએસએસના  જ્વેજદા સર્વિસ મોડયુલનું મૂલ્યાંકન કરવા વધારાનો સમય જરૂરી હોવાથી  મિશન મુલતવી રખાયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd