ગાંધીધામ, તા. 6 : તાલુકાના અંતરજાળમાં પાતાળિયા
હનુમાન નજીક આવેલાં તળાવમાં ડૂબી જવાથી યશવંત દિલેશ્વરરાવ અંબાતી (ઉ.વ. 15)નું મૃત્યુ થયું હતું.
પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, મૃતક યશવંત નામનો કિશોર ચાર મિત્ર સાથે ગઈકાલે
બપોરે 12 વાગ્યાના અરસામાં બોલથી રમી રહ્યો હતો. દરમ્યાન કોઈ પ્રકારે બોલ પાણીમાં
જતાં આ કિશોર પાણીમાં બોલ લેવા માટે ગયો હતો. કોઈ પ્રકારે તે પાણીમાં ગરકાવ થયો હતો.
ગભરાયેલા કિશોરોએ મોડી સાંજ સુધી મૌન સેવ્યું હતું. સાંજના સમયે ત્રણેય મિત્રની
પૂછપરછ બાદ કિશોર પાણીમાં ડૂબ્યો હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. ત્યારબાદ વહીવટીતંત્રે
મોડી સાંજથી પાણીમાં ગરકાવ થયેલા કિશોરની શોધખોળ આરંભાઈ હતી. ભારે મથામણ બાદ આજે સવારે 7 વાગ્યાથી ગુમ થયેલા કિશોરનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત નોંધના
આધારે વધુ તપાસ આરંભી છે.