• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

એસઆઈઆરમાં અદાલતની દરમ્યાનગીરી નોંધનીય

ભારતીય લોકશાહીના આધારસ્તંભ સમાન મતદારયાદીમાં ગેરકાયદે મતદારો મોટી સંખ્યામાં સામેલ હોવાની ચોંકાવનારી આશંકાને દૂર કરવા આ યાદીની ખરાઈની હાથ ધરાયેલી ખાસ કાર્યવાહીમાં જાગી રહેલા વિવાદમાં સર્વોચ્ચ અદાલતે દરમ્યાનગીરી કરીને મર્યાદા અંકિત કરી આપી છે.  ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીની ખાસ સમીક્ષા (એસઆઈઆર) હાથ ધરાઈ રહી છે તેમાં વિપક્ષ શાસિત રાજ્યોમાં વિવાદ જાગી રહ્યા છે.  ખાસ તો  પશ્ચિમ બંગાળમાં વહીવટી મતભેદ અને સંઘર્ષની હાલત ઊભી થઈ છે.  આવામાં  સર્વોચ્ચ અદાલતે દરમ્યાનગીરી કરીને આ કાર્યવાહીમાં મતદારયાદીમાંથી કોઈ યોગ્ય નાગરિકની બાદબાકી ન થાય અને કોઈ અયોગ્ય વ્યક્તિ તેમા સામેલ ન થઈ જાય એનો ખ્યાલ રાખવાની ખાસ તાકીદ કરી છે. પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આ કાર્યવાહી અને ચૂંટણીપંચના ઈરાદા સામે સતત વિરોધ વ્યક્ત કરાતો રહ્યો છે. હવે સર્વોચ્ચ અદાલતે આ મામલામાં દરમ્યાનગીરી કરીને આ મામલો અસાધારણ હોવાનું સ્પષ્ટ કર્યું છે.  અદાલતે હવે રાજ્યમાં ચૂંટાયેલી સરકાર અને ચૂંટણપંચ વચ્ચે વિશ્વાસના અભાવનો ઈલાજ કરવા ન્યાયતંત્રના હાલના અને નિવૃત્ત અધિકારીઓને દેખરેખની ખાસ જવાબદારી સોંપી છે.  અદાલતે જે રીતે સરકાર અને પંચ વચ્ચે વિશ્વાસના અભાવના સંદર્ભમાં ટિપ્પણી કરી છે તે બહુ નોંધપાત્ર અને ચિંતાજનક છે.  આદલતે કહ્યંy છે કે, આવી સ્થિતિ લોકશાહીને નુકસાન કરે છે.  સર્વોચ્ચ અદાલતને એસઆઈઆરની દેખરેખ માટે ન્યાયતંત્રની દરમ્યાનગીરીનો આદેશ આપવો પડયો તે બતાવે છે કે, આ સ્થિતિ અસમાન્ય છે. સાથોસાથ સરકાર અને આ બંધારણીય સંસ્થા વચ્ચે સંવાદનો ભારે અભાવ જણાઈ રહ્યો છે.  ઉલ્લેખનીય બાબત એ છે કે, મુખ્ય ન્યાયાધીશ શ્રી સૂર્યકાંત અને તેમની બેંચે એ સ્પષ્ટ કર્યું છે કે, ન્યાયતંત્રના નિરીક્ષક અધિકારીઓના નિર્ણયને આદાલતનો આદેશ માનવામાં આવશે. આ આદેશનો કલેકટર અને એસપી અમલ કરાવશે. આખા પ્રકરણ ઉપરથી સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, ચૂંટણીની કાર્યવાહી એટલી બધી અવિશ્વસનીય થઈ ગઈ છે કે, ન્યાયતંત્રને દરમ્યાનગીરી કરવી પડી રહી છે. જો આ સવાલનો જવાબ હા હોય તો લોકશાહી માટે ભારે જોખમી હાલત કહી શકાય. અદાલતે 28મી ફેબ્રુઆરીના અંતિમ મતદારયાદી જાહેર કરવાની મંજૂરી આપી છે.  સાથોસાથ જરૂર જણાય તો વધારની સપ્લિમેન્ટરી યાદીની પણ છૂટ અપાઈ છે. અદાલતે વિવાદિત પક્ષો વચ્ચે સમતુલન ઊભું કરવાની સાથોસાથ મતદારયાદીમાં વિલંબ ન થાય અને તેમાં કોઈ ભૂલ રહી જાય તો તેમાં સુધારાની જોગવાઈ પણ કરી આપી છે. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યંy છે કે, રોજબરોજની કામગીરીમાં દખલગીરી કરવાનું ન્યાયતત્રનું કામ નથી, પણ વહીવટતંત્ર દ્વારા વિલંબ થતો હોય કે સ્પષ્ટતા ન થતી હોય તેવા સંજોગોમાં અદાલતોને દરમ્યાનગીરી કરવાની ફરજ પડતી હોય છે. આ વિવાદમાં સર્વોચ્ચ અદાલતે દેખરેખની વ્યવસ્થા ગોઠવી છે તે હંગામી છે. ખરેખર તો ચૂંટણીપંચ અને રાજ્ય સરકારે મતભેદો કોરણે મૂકીને લોકશાહી માટે ચાવીરૂપ આ પ્રક્રિયાને ખરા અર્થમાં વિવાદ રહિત મતદારયાદી તૈયાર કરવામાં સાથે મળીને કામ કરવું જોઈએ. 

Panchang

dd