ઇન્દોર, તા. 16 : ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ
વચ્ચે શ્રેણી જીત માટે રવિવારે અહીંના હોલ્કર સ્ટેડિયમ પર `કાંટે કી ટક્કર' થશે. ઇન્દોર મેચમાં જીત મેળવનાર ટીમના નામે
વન-ડે શ્રેણી થશે. વડોદરામાં ટીમ ઇન્ડિયાની અને રાજકોટમાં કિવિઝ ટીમની જીત થઇ હતી.
હવે અહીંના હોલ્કર સ્ટેડિયમની બેટિંગ ફ્રેન્ડલી મનાતી પીચ પર રોમાંચક મેચ જોવા મળશે.
અહેવાલ અનુસાર ઝાકળને લીધે અહીં બીજો દાવ લેનારી ટીમ ફાયદામાં રહેશે. ઝાકળને લીધે બોલરોને
નુકસાન થશે. કારણ કે, દડો ભીનો થશે. આથી બોલર્સ માટે લાઇન-લેન્થ
જાળવવી કઠિન બની રહેશે. આથી ટોસ જીતનારી ટીમ અહીં પહેલા ફિલ્ડિંગ પસંદ કરી શકે છે.
બીજી વન-ડેમાં ભારતીય બોલિંગ લાઇન-અપની કેટલીક ખામીઓ ઉજાગર થઇ હતી. નિરંજન શાહ સ્ટેડિયમની
ધીમી પીચનો ભારતીય બોલર અને ખાસ કરીને સ્પિનર્સ ફાયદો લઇ શક્યા ન હતા. આથી ત્રીજી અને
ફાઇનલસમી વન-ડે મેચમાં ભારતીય ઇલેવનમાં ફેરફારને અવકાશ છે. પ્રસિદ્ધ કૃષ્ણાને સ્થાને
અર્શદીપ સિંઘને તક મળવાની પૂરી સંભાવના છે. આ ઉપરાંત નીતીશકુમાર રેડ્ડીના સ્થાને આયુષ
બદોનીને પદાર્પણની તક મળી શકે છે. હોલ્કર સ્ટેડિયમની
પીચને પાટા પીચ કહેવામાં આવે છે. અહીં બાઉન્ડરી પણ પ્રમાણમાં ટૂંકી છે. આઉટફિલ્ડ તેજ
છે એટલે રનનો ખડકલો થશે. પ્રથમ દાવ લેનારી ટીમ ઓછામાં ઓછો 300 ઉપરનો સ્કોર કરવા માગશે. હોલ્કર સ્ટેડિયમની પીચ કાળી માટીથી તૈયાર કરવામાં
આવી છે. ક્યૂરેટર મનોહર જામલે કહ્યું છે કે, પરંપરાગત રીતે અહીંની પીચ બેટધરો માટે અનુકૂળ રહે છે, પણ તે જીવંત હશે અને બોલરોને પણ મદદ મળશે. ઇન્દોરની પીચ પર ફાસ્ટ બોલરને સ્વિંગ
મળતા નથી. દડો ટપ્પો થયા પછી સીધો જ બેટ પર આવે છે. આથી ફ્રંટફૂટ પર રમાનાર બેટર્સને
સ્ટ્રોકફૂલ બેટિંગ કરવાનો મોકો મળી રહેશે.