ગાંધીધામ, તા. 16 : રાપરમાં બજાર સમિતિમાં અનાજ
લે-વેચનું કરતી બંને પગે દિવ્યાંગ વ્યક્તિને ઊંચાં વ્યાજે પૈસા આપી હપ્તા વસૂલી કરી
બાદમાં વધુ વ્યાજ-રકમની પઠાણી ઊઘરાણી કરનારા શખ્સ સામે ગુનો નોંધાયો હતો. રાપરમાં રહેનાર
બંને પગે દિવ્યાંગ એવા પ્રકાશ નવીન ઠક્કરે કિશોરભા કાનાભા ગઢવી સામે પોલીસ ફરિયાદ નોંધાવી
હતી. આ ફરિયાદી અગાઉ બજાર સમિતિમાં રામદેવ ટ્રેડર્સ નામની અનાજ લે-વેચની દુકાન ચલાવતા
હતા. ભારે ઊંચા ભાવે અનાજની ખરીદી કરી લેતાં માર્કેટ નીચી રહેતાં ફરિયાદીના પૈસા ફસાઇ
ગયા હતા. ખોટની ભરપાઇ કરવા તેમણે કિશોર ગઢવી પાસેથી રૂા. 15 લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા, જેના દર મહિને રૂા. 75,000ના હપ્તા ભરાતા હતા. આટલા મોટા
હપ્તા ન ભરી શકતાં ફરિયાદીએ દોઢેક વર્ષ અગાઉ પોતાની દુકાન વેચીને આરોપીને રૂા. 12 લાખ ચૂકવી આપ્યા હતા, તેમ છતાં આરોપીએ હજુ ત્રણ લાખ આપવા અને તેના
હપ્તા રૂા. 15,000 આપવા
માટે ધાકધમકી કરી હતી. આ ફરિયાદીએ અત્યાર સુધીમાં આરોપીને રૂા. 30 લાખ ચૂકવી આપ્યા હોવાનું ફરિયાદમાં
જણાવાયું હતું. ગત તા. 13/1ના ફરિયાદી
તથા ભાઇ અને માતા ઘરે હતા, ત્યારે આરોપીએ
ત્યાં આવી પઠાણી ઊઘરાણી કરી ધાકધમકી કરી હતી. વ્યાજ નહીં આપે તો જાનથી મારી નાખવાની
તથા ઘરનો કબજો લઇ લેવાની ધમકી આપી હતી. પોલીસે આ શખ્સ સામે ગુનો દર્જ કરી આગળની તપાસ
હાથ હાથ ધરી છે.