ભુજ, તા. 2 : ખેડૂતોની મહેનતને માન આપવાનો
મહોત્સવ અથવા કહો કે, ખેડૂતોના પ્રતિભા, પરિશ્રમ, પ્રયોગશીલતાને પોંખવાના પ્રસંગ સમાન હાઈટેક
કૃષિ મેળાનો આવતીકાલ શુક્રવારથી ચાર દિવસ માટે પ્રારંભ થવા જઈ રહ્યો છે. કિસાનોને બજાર
સુધી પહોંચાડતો પંથ તેમજ ખેડૂતો અને બજાર, સરકાર વચ્ચે સેતુ રચાતાં
આ કૃષિ મેળાનું શુક્રવારની સવારે ઉદ્ઘાટન થયા બાદ ભુજ શહેરના મિરજાપર રોડ સ્થિત પ્રાઈમ
લોકેશન ગ્રાઉન્ડ સતત ચાર દિવસ સુધી કચ્છભરના કિસાનોનાં આગમનથી ધમધમી ઊઠશે. નર્મી સંસ્થા
અને કચ્છમિત્ર દ્વારા મુખ્ય પ્રાયોજક, એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ,
અદાણી ફાઉન્ડેશન, અદાણી પેટ્રોકેમિકલ્સના મુખ્ય
સહયોગથી યોજિત 15મા હાઈટેક
કૃષિમેળાનો લાભ લેવા ભારપૂર્વક, માનપૂર્વક
ખેડૂતોને અપીલ કરાઈ છે. કૃષિ મેળાના પ્રારંભ પ્રસંગે અદાણી પોર્ટ અને સેઝના એક્ઝિક્યુટિવ
ડાયરેક્ટર રક્ષિત શાહ, એગ્રેસેલના એમ.ડી. ચૈતન્ય શ્રોફ,
પીઢ કિસાન અગ્રણી વેલજીભાઈ ભુડિયા, સરહદ ડેરીના
અધ્યક્ષ વલમજીભાઈ હુંબલ, ગુજરાત એગ્રો.ના પૂર્વ ડાયરેક્ટર બટુકસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહેશે. - કચ્છના કિસાનો
માટે વિવિધ ડિસ્કાઉન્ટની ફેસ્ટિવલ ઓફર : નર્મી અને કચ્છમિત્ર દ્વારા યોજિત 15મા હાઈટેક કૃષિ મેળામાં એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝના
સ્પેશિયલ કૂપન સહિત વિવિધ કંપનીઓ દ્વારા અલગ-અલગ ડિસ્કાઉન્ટ `ફેસ્ટિવલ ઓફર'ની જેમ અપાશે. આ લાભ માત્ર કૃષિ મેળાના ચાર દિવસ પૂરતો જ લઈ શકાશે. રાજ્યના
વિવિધ ભાગોમાંથી ભુજ શહેરના આંગણે ઊતરી પડેલી
વિવિધ થ્રેસર કંપનીઓ તરફથી સરળ ધિરાણ તેમજ સવા બે લાખ રૂપિયા સુધી સરકારી સબસિડી
જેવી શરતો પણ કૃષિ મેળામાં આકર્ષણ જમાવશે. ચાર દિવસના કૃષિ મેળા દરમ્યાન ચોથી અને પાંચમી
એપ્રિલ, શનિ-રવિવારે
10થી 12 વાગ્યા સુધી `સેતુ' સેમિનારમાં
વિવિધ ક્ષેત્રના તજજ્ઞો માગદર્શન આપશે.ચોથી તારીખે મનોજભાઈ સોલંકી, રતિલાલ શેઠિયા, જયદીપ ગોસ્વામી, પાંચમી તારીખે રવિવારે ડો. સુરેશ આચાર્ય, બટુકસિંહ જાડેજા
તેમજ વેલજી ભુડિયા માર્ગદર્શન આપશે. પ્રાયોજકો, આયોજકોએ કચ્છભરમાંથી
ઉમંગભેર ઊમટી પડતાં કૃષિ મેળાનો લાભ લેવા અપીલ કરી છે.