• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

ઝેરી ખાતર પી જનાર યુવાનનો જીવ બચાવાયો

ભુજ, તા. 20 : અદાણી સંચાલિત ગેઇમ્સ જી.કે. જનરલ હોસ્પિટલમાં  કોઈ કારણસર નાઇટ્રોબેન્ઝીન નામક ઝેરી ખાતરનું પ્રવાહી પી જવાને કારણે હૃદય, ફેફસાં અને કિડનીને અસર થવાની સાથે બેભાન થઈ ગયેલા યુવાનને મેડિસિન,નેફ્રોલોજિસ્ટ વિભાગના સંયુક્ત પ્રયાસ  તેમજ વેન્ટિલેટરની સઘન સારવારના અંતે બચાવી લેવાયો હતો. મેડિસિન વિભાગના હેડ ડો. દેવિકા ભટ્ટના જણાવ્યા મુજબ  30 વર્ષીય યુવાનને  ઈમર્જન્સીમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. ઝેરના દુપ્રભાવથી તેના હાથ, પગ, હોઠ, જીભ નીલા પડી ગયા હતા. સાથે ઓક્સિજનનું સ્તર માત્ર 60 જ હોવાથી  વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવ્યો હતો. સિનિ. રેસિ. ડો. બ્રિજેશ બ્રહ્મભટ્ટે ઉમેર્યું કે, દર્દીને ઝેરની અસર વધુ વ્યાપક બને એ પહેલા આ જીવલેણ પોઇઝનને શરીરમાંથી નિકાલ કરવાના મહત્ત્વના કાર્યના ભાગરૂપે ઝેરના પ્રતિકાર માટે  સંપૂર્ણ સાવચેતી સાથે મિથિલિનબ્લ્યુ આપવામાં આવ્યું. દરમિયાન ખાતરની બીજી વધુ ગંભીર અસર કિડની ઉપર પણ થઈ હોવાથી હોસ્પિટલના નેફ્રોલોજિસ્ટ ડો. હર્ષલ વોરાના માર્ગદર્શન હેઠળ ડાયાલિસીસ પણ કરાયું હતું. સારવારમાં ડો. વિજય, ડો. જયકૃષ્ણ અને ડો. પ્રિયમ પટેલ સહિત તમામ સ્ટાફે સહયોગ આપતા દર્દીને જલ્દી રાહત મળી.  નાઇટ્રોબેન્ઝીન  ખાતરનો ઉપયોગ ખેતીમાં કરવામાં આવે છે. જો આ ખાતર પેટમાં જાય તો શરીરમાં પ્રાણવાયુની વહનશક્તિને ગંભીર ખતરામાં મૂકી દે છે. માટે ધરતીપુત્રોએ તેનો ઉપયોગ સાવચેતીથી કરવો હિતાવહ છે. 

Panchang

dd