કોઠારા, તા. 15 : મુંબઈમાં 15 વર્ષના પુત્રને નવજીવન આપવા
પિતાએ કિડનીનું દાન કર્યું હતું. મૂળ કચ્છના કોઠારાના વતની અને હાલ મુંબઈમાં સ્થાયી
થયેલા મધ્યમવર્ગીય પરિવારના હિરેનભાઈ ચૌહાણે 15 વર્ષના પુત્રને મોતના મુખમાંથી ઉગારવા કિડની આપવાનો સંકલ્પ કર્યો
હતો. હિરેનભાઈના પુત્રને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતાં તબીબી તપાસ દરમ્યાન બંને કિડની
ફેલ થઈ ગઈ હોવાનું તારણ નીકળ્યું હતું. તાત્કાલિક કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે સભ્યોનો
રિપોર્ટ કરાવતાં પિતાની કિડની મેચ થઈ હતી. છેલ્લા 12 મહિનાથી ડાયાલિસીસ પર જીવી રહેલા પ્રેમને જ્યુપિટર હોસ્પિટલ
ખાતે સર્જરીમાં પિતાની ડાબી કિડની શરીરની જમણી બાજુ પ્રત્યારોપિત કરાઈ હતી. ક્ષત્રિય
રાજપૂત સમાજ મુંબઈના પ્રમુખ જીતુભા મકવાણાએ પિતા અને પુત્રની હાલત સ્વસ્થ હોવાનું જણાવ્યું
હતું. કોઠારાના અગ્રણી કિશોર આમરે કચ્છી રાજપૂત સમાજની મદદને બિરદાવી હતી.