નવી દિલ્હી, તા. 15 : યુરોપિયન
યુનિયન સાથે ચાલી રહેલી ભારતની વાટાઘાટો વચ્ચે અમેરિકા સાથે ટ્રેડ ડીલ નક્કી થવાની
સંભાવના છે. અમેરિકી સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર
સાથે ફોન પર વાત કરી છે. બંને નેતાએ કથિત રૂપે વ્યાપાર સમજૂતી પર ચર્ચા કરી છે, જેથી એવી અટકળો ઊઠી છે કે, ટૂંક સમયમાં ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં વેપાર કરાર થઈ શકે છે. વેપાર
ઉપરાંત બંને નેતાએ પ્રાદેશિક વિકાસ, મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક
પર ચર્ચા કરી હતી. અમેરિકાએ ભારત સાથે નાગરિક
પરમાણુ સહયોગ વધારવા, અમેરિકન કંપનીઓ માટે તકો વિસ્તૃત
કરવા, વહેંચાયેલ ઊર્જા સુરક્ષા લક્ષ્યોને આગળ વધારવા અને મહત્ત્વપૂર્ણ
ખનિજ પુરવઠા શૃંખલાઓને સુરક્ષિતમાં રસ દર્શાવ્યો હતો. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું
હતું કે માર્કો રુબિયો અને એસ.જયશંકરે ચાલુ દ્વિપક્ષીય વેપાર કરાર વાટાઘાટો અને આર્થિક
સહયોગને મજબૂત બનાવવામાં તેમના સહિયારા હિતની ચર્ચા કરી હતી. તેમણે પ્રાદેશિક વિકાસ
પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું અને મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક પ્રત્યે યુનાઇટેડ
સ્ટેટ્સ અને ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરને
નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ભારત પરિવર્તન માટે પરમાણુ ઊર્જાના ટકાઉ ઉપયોગ
અને પ્રગતિ બિલ પસાર થવા બદલ ભારતને અભિનંદન આપ્યા હતા.