ભુજ, તા. 12 : ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ
પક્ષીઓની સારવાર તથા પક્ષીઓને બચાવવા માટે જનજાગૃતિ લાવવા 20 જાન્યુઆરી સુધી વન વિભાગ, વિવિધ એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી
યોજાયેલા કરુણા અભિયાન અંતર્ગત ભચાઉ, નખત્રાણા તથા અંજાર રેન્જ
ફોરેસ્ટ ઓફિસર્સ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓના વેચાણ સામે સર્ચ ઓપરેશન ચલાવી ઝુંબેશથી
કડક કામગીરી હાથ ધરાઇ હતી. ભચાઉ, નખત્રાણા અને અંજાર રેન્જનાં
કાર્ય વિસ્તારમાં શહેર કે ગામના પતંગ અને દોરાના વેપારીઓની દુકાનની મુલાકાત લઈ,
ચાઇનીઝ તથા પક્ષીઓને નુકશાન પહોંચે તેવી તુક્કલ દોરીનું વેચાણ ન થાય
તેની ચકાસણી કરાઇ હતી. ભચાઉ રેન્જના ક્ષેત્રીય સ્ટાફ અને ભચાઉ વિસ્તરણ રેન્જના સ્ટાફ
દ્વારા શહેરમાં સંયુક્ત રેલી યોજી ચકાસણી કરી પતંગ અને દોરાના વેપારીઓને પક્ષીઓને નુકસાન
થાય તેવો સામાન ન રાખવા માર્ગદર્શન અપાયું હતું. વન વિભાગ દ્વારા ભચાઉ આજુબાજુના વિસ્તારમાં
સવારના 9 કલાક પહેલા અને સાંજના 5 કલાક બાદ પતંગ ન ચગાવવા સૂચનો કરાયાં હતાં.
તા. 10/1થી 20/1 દરમિયાન ભચાઉ રેન્જ કચેરી ખાતે
કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે, તેવું
વન વિભાગની યાદીમાં જણાવાયું હતું.