નવી દિલ્હી, તા.13: ભારતના વિસ્તાર
શક્સગામ ખીણ પર ચીને દાવો કર્યાના એક દિવસ બાદ સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ
પુનરોચ્ચાર કર્યો હતો કે 1963માં પાકિસ્તાન
અને ચીન વચ્ચે થયેલી સમજૂતી ભારત માટે સંપૂર્ણ ગેરકાનૂની અને અમાન્ય છે. દ્વિવેદીએ
કહ્યું કે શક્સગામ ખીણ ભારતનો જ હિસ્સો છે અને ત્યાં કોઈ પણ પ્રકારની ગતિવિધિને ભારત
માન્યતા આપતું નથી. આ મુદ્દા પર વિદેશ મંત્રાલય પણ અગાઉ જ સ્પષ્ટતા કરી ચૂક્યું છે
કે ભારત પોતાના હિતોનાં રક્ષણ માટે દરેક જરૂરી પગલાં ભરવાનો અધિકાર ધરાવે છે. ઉલ્લેખનીય
છે કે ચીને ભારતના આ વિસ્તાર પર દાવો કરીને વિવાદ સર્જ્યો હતો. જમ્મુ-કાશ્મીરની શક્સગામ
ખીણને ચીને પોતાનો વિસ્તાર ગણાવવાની હરકત કર્યા બાદ બંને દેશ વચ્ચે સંબંધ તંગ બન્યા
છે. વીતેલા દિવસો દરમ્યાન ભારતે શક્સગામ ઘાટીમાં ચીન તરફથી માળખાંકીય કામો કરાતાં વાંધો
ઉઠાવ્યો હતો. આ અંગે જ્યારે ચીનને સવાલ કરવામાં આવ્યો ત્યારે ચીની વિદેશમંત્રાલયના
પ્રવક્તા માઓ નિંગે તેને ચીનનો હિસ્સો ગણાવી દીધો હતો. સેના પ્રમુખે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે
પાકિસ્તાને 1963ની સમજૂતી હેઠળ શક્સગામ ખીણનો ભાગ પાકિસ્તાને ચીનને સોંપ્યો હતો જેનો ભારત ક્યારેય
પણ સ્વીકાર કરતો નથી. તેમણે સ્પષ્ટ કહ્યું કે અમે ત્યાં કોઈ પણ પ્રકારની ગતિવિધિને
સ્વીકારતા નથી. આ સમજૂતી અમારા માટે ગેરકાયદે છે. તેમણે એમ પણ કહ્યું કે ચીન- પાકિસ્તાન
ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી) પણ ભારતને માન્ય નથી.