ગાંધીધામ, તા. 30 : અંજારના વરસામેડી ગામમાં માર્ગ
ઓળંગતા બાઇક ચાલકને કારે હડફેટે લેતાં બાઇક ચાલક રાજેશ મ્યાજર વરાયા નામના યુવાનનું
મોત થયું હતું. વરસામેડીમાં ગત તા. 28/8ના આ જીવલેણ બનાવ બન્યો હતો. રાજેશ નામનો યુવાન બાઇક નંબર જી.જે.
12 એ.એમ.-1477 લઇને માર્ગ ઓળંગીને પસવારી
બાજુના રોડ બાજુ જઇ રહ્યો હતો તેવામાં અંજાર તરફથી પુરપાટ આવતી કાર નંબર જી.જે. 37 જે-6192એ આ બાઇકને હડફેટમાં લીધી હતી, જેમાં આ યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને
પ્રથમ સ્થાનિકે બાદમાં વધુ સારવાર અર્થે આદિપુરની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં
તેને તપાસીને ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે લાલજી બેચરા
વરાયાએ કાર ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો. અકસ્માત વેળાએ ફરિયાદી ત્યાં જ હાજર હોવાનું
ફરિયાદમાં જણાવાયું હતું.