• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

કલ્યાણપર પાસે બાઈક સ્લીપ થતાં સેલારીનાં યુવાનનું મોત

રાપર, તા. 30 : રાપર તાલુકાના સેલારી ગામના સામજી ગણેશા કોલી નામના યુવકનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. આ દરમ્યાન સરકારી હોસ્પિટલના તબીબ દ્વારા યુવાન મૃત હોવા છતા રેફર કરાયો હોવાનો આક્ષેપ કરાયો હતો. બનાવ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ કલ્યાણપર-લાલાસરી વચ્ચે ગોલાઈમાં બાઈક દીવાલ સાથે અથડાતા કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ મૃતદેહને 108 મારફતે રાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવાન ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હોવા છતાં રાપર સરકારી હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબ દ્વારા પોલીસને જાણ કરવાની અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની જગ્યાએ મૃતદેહને રીફર કરી દેવાયો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. પરિવારજનોનાં જણાવ્યા મુજબ, 108નાં બે ઈએમટી દ્વારા પણ યુવકનું મોત થઈ ચૂક્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. બાદમાં નજીક આવેલી ખાનગી હોસ્પિટલનાં તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર મામલે રાપર સરકારી હોસ્પિટલના તબીબની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. પરિવારજનોના આક્ષેપ મુજબ, મૃતદેહને બોટલ ચડાવીને પોસ્ટમોર્ટમની કાર્યવાહી ટાળવા માટે રીફર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પરિવારજનોને મૃતદેહ ઘરે લઈ જવા અને આજે પોસ્ટમોર્ટમ નહીં થાય તેવું કહેવામાં આવ્યું હતું. પરિવારજનોનાં આગ્રહ બાદ અંતે પોલીસને જાણ કરવામાં આવી હતી અને જાણવા જોગ નોંધ કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. યુવકની માતાનાં કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. પોલીસને જાણ કરતાં હોસ્પિટલમાં આવી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે હોસ્પિટલનાં અધિક્ષક રોબિનાસિંગનો સંપર્ક કરતાં તેમણે બહાર હોવાનું જણાવ્યું હતું.

Panchang

dd