ગાંધીધામ, તા. 26 : રાપરના ઉમૈયા ગામ નજીક પ્લોટ
પોતાનાં નામે કરી આપવા કહી બે શખ્સોએ લાકડી વડે હુમલો કરતાં યુવાનને અસ્થિભંગ સહિતની
ઇજાઓ પહોંચી હતી. ભીમાસરમાં રહેનાર ખેડૂત માંડણ ભવાન પરમાર (રાજપૂત)એ બનાવ અંગે ફરિયાદ
નોંધાવી હતી. આ ફરિયાદી આઠમના તા. 23-6ના બાઇક લઇને કારૂડા
હરિસિદ્ધિ માતાજીના મંદિરે જઇ રહ્યો હતો. દરમ્યાન ઉમૈયા કાનપર વચ્ચે ત્રણ રસ્તા પાસે
કૌટુંબિક ભાઇ રામ કેયણા અને તેના પિતા કેયણા ભૂરા પરમારે બાઇક ઊભું રખાવ્યું હતું અને
પ્લોટ જે તારી પાસે છે તે મારાં નામે કરી આપવાનું કહેતાં ફરિયાદીએ તેની ના પાડતાં બંને
ઉશ્કેરાઇ ગયા હતા અને લાકડી વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો. ઘવાયેલા યુવાનને પ્રથમ
રાપર અને ત્યાંથી વધુ સારવાર માટે ધારપુર પાટણ લઇ જવાયો હતો, જ્યાં તેને પગમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ હોવાનું
બહાર આવ્યું હતું. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.