• શનિવાર, 27 જૂન, 2026

પ્રભાવ ઇન્સ્ટિટયૂટમાં યોગ-ન્યૂટ્રિશિયન હાઇબ્રીડ મોડમાં

મુંદરા, તા. 26 : માંડવી તાલુકાના બિદડામાં વિશ્વ પ્રસિદ્ધ આરોગ્ય સેવાની સાથેસાથે પ્રાકૃતિક ચિકિત્સા, કુદરતી ઉપચાર, યોગ-વેલનેસ ક્ષેત્રે શિક્ષણ આપતાં અને ઝડપી વિકસી રહેલા પ્રભાવ હોલિસ્ટિક ઇન્સ્ટિટયૂટમાં વિવિધ ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા જારી છે અને આ સાથે ઈન્સ્ટિટયૂટે બે વધુ નવા કોર્સની કચ્છને ભેટ ધરી છે. ધોરણ 12 પછીના અને હાઇબ્રીડ એટલે કે ઓનલાઈન જોડે પ્રેક્ટિકલ તાલીમ આપતા એક વર્ષની સમયમર્યાદાના અલગ-અલગ ત્રણ પ્રકારના ડિપ્લોમા કોર્સ નવા શરૂ થતાં સત્ર માટે એડમિશન મેળવવા ભારે પ્રતિસાદ મળ્યો છે. આ સાથેસાથે ઇન્સ્ટિટયૂટે તેમની સિદ્ધિમાં વધુ પીછું ઉમેરતાં  છ મહિનાના સમયગાળાના બે કોર્સને દાખલ કર્યા છે. યોગ અને ફિટનેસના હાઇબ્રીડ મોડ (ઓનલાઈન સાથે પ્રેક્ટિકલ) અભ્યાસક્રમનો આરંભ કરીને પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી છે, જ્યારે દર્દીઓને કુદરતી ઉપચાર સાથે આપવાના વિશિષ્ટ ખોરાકમાં નિષ્ણાત બનાવતા `સર્ટિફિકેશન ઇન નેચરોપથી ડાયટેટિક્સ એન્ડ વેલનેસ'ની જાહેરાત કરી છે. ભારતની પ્રાચીન પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિઓનાં મહત્ત્વ પ્રત્યે જાગરૂકતા અને યુવાનોને ઉજ્જવળ કારકિર્દીના ઉદ્દેશથી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંકુલ ખાતે કાર્યરત કે. એમ. પટેલ આરોગ્યધામમાં નિર્માણ પામેલા અત્યાધુનિક સુવિધાઓ સાથેના પ્રભાવ હોલિસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટમાં ગત જાન્યુઆરી મહિનાથી જ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના માન્યતાપ્રાપ્ત ત્રણ ડિપ્લોમા કોર્સનો આરંભ થયો હતો. યોગ- વેલનેસ, નેચરોપથી અને ન્યૂટ્રિશિયન જેવા વિષય સાથેના આ કોર્સની વિશિષ્ટતા એ છે કે, માત્ર હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ નહીં, ગૃહિણીઓ, વ્યાવસાયિકો, નોકરિયાતો કે નિવૃત્ત જીવન ગાળતા લોકો પણ આ ઓનલાઈન થિયરી અભ્યાસની સુવિધા ધરાવતા કોર્સમાં જોડાઈ શકે છે. ઝડપી વિકસી રહેલા વેલનેસ સેક્ટરમાં એ માત્ર વિદ્યાર્થીઓને નવા ઊભરતા સેક્ટરમાં ઉજ્જ્વળ કારકિર્દીની તકો જ નથી આપતા, પરંતુ અભ્યાસ કરનારા પોતાનું અને પરિવારનું સ્વાસ્થ્ય પણ પોતાની જાતે જાળવી શકે છે. - 10મી જુલાઇથી તમામ કોર્સમાં અભ્યાસ વર્ગ શરૂ : આ ત્રણેય ડિપ્લોમા તેમજ સર્ટિફિકેટ કોર્સના અભ્યાસ વર્ગોનો આગામી તા. 10મી જુલાઈથી આરંભ થઈ જશે. એ પહેલાં ઈચ્છુક વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લેવા કમિટી દ્વારા જણાવાયું છે. આ ત્રણ કોર્સ ઉપરાંત યોગ અને ફિટનેસ બંને ક્ષેત્રનો તાલમેલ ધરાવતા વધુ એક અભ્યાસક્રમની પણ તક ઊભી કરાઇ છે. `સર્ટિફિકેટ કોર્સ ઇન યોગા ફોર ફિટનેસ એન્ડ ફિઝિકલ ટ્રાનિંગ' નામના આ હાઇબ્રીડ (ઓનલાઈન સાથે પ્રક્ટિકલ)  પ્રકારના છ મહિનાના સમયગાળાના આ કોર્સમાં 24 સપ્તાહ ઓનલાઇન તાલીમ અપાય છે, જ્યારે સાત દિવસ પ્રભાવ હોલિસ્ટિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રહીને તાલીમ લેવાની રહે છે. સફળતાપૂર્વક તાલીમ અને એસેસમેન્ટ પૂર્ણ કરનારને ઇન્સ્ટિટયૂટ દ્વારા સર્ટિફિકેટ અપાશે. - કુશળ વ્યાવસાયિકોનું સર્જન કરવાનો ઉદ્દેશ :  હેમંતકુમાર રાંભિયા : આ નવા યોગ અને ફિટનેસ સર્ટિફિકેટ કોર્સ અંગે ઇન્સ્ટિટ્યૂટના પ્રોજેક્ટ ડાયરેક્ટર હેમંતભાઈ રાંભિયા કહે છે કે, યોગ અને સાથેસાથે આધુનિક ફિટનેસ વિજ્ઞાનનો સમન્વય સાધીને પૂર્ણ શારીરિક- માનસિક અને સર્વાંગી સ્વાસ્થ્ય માટેના કુશળ વ્યાવસાયિકોનું સર્જન કરવાના ઉદ્દેશ સાથે આ મહદઅંશે ઓનલાઇન પદ્ધતિના કોર્સની રચના કરવામાં આવી છે. આ અભ્યાસક્રમ પરંપરાગત યોગ પદ્ધતિ અને આધુનિક શારીરિક તાલીમ પદ્ધતિઓને એક સાથે જોડે છે. આ કોર્સ યોગ, ફિટનેસ, મજબૂત શારીરિક તાલીમ, પોષણ, યોગ્ય જીવનશૈલી, સ્વસ્થ હૃદય સહિત સર્વાંગી જ્ઞાન અને કૌશલ્યને વિકસાવે છે. આ કોર્સ તેમાં જોડાનારાઓને યોગ ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર, ફિઝિકલ ટ્રેઈનર અને વેલનેસ કોચ બનવા સજ્જ કરે છે. આ કોર્સમાંથી સફળ થનારાઓ ભવિષ્યમાં યોગ ફિટનેસ ટ્રેઈનર, વેલનેસ કોચ, કોર્પોરેટ યોગ ઇન્સ્ટ્રકટર, ઓનલાઈન ફિટનેસ કોચ, મેડિટેશન ફેસિલિટેટર, લાઈફ સ્ટાઈલ કન્સલ્ટન્ટહોલિસ્ટિક વેલનેસ ટ્રેઈનર ક્ષેત્રે કારકિર્દીની તકો આપે છે. - કુદરતી ઉપચાર ડાયેટમાં નિષ્ણાત બનાવતા કોર્સની પણ જાહેરાત : યોગ કોર્સ ઉપરાંત નેચરોપેથી સેન્ટરમાં બનતા દર્દીની જરૂરિયાત મુજબના વિશિષ્ટ ખોરાકમાં નિપુણતા કેળવતા નવતર કોર્સને પણ દાખલ કરાયો છે. આ વિશે વધુમાં કહ્યું કે, નેચરોપેથી સારવાર કેન્દ્રોમાં દર્દી મુજબ વિશિષ્ટ ખોરાક બને છે, જેની આ કોર્સમાં તાલીમ અપાશે. આ સાથે ડાયેટિશિયનનો અભ્યાસ પણ સામેલ કરાયો છે, જેથી કયો ખોરાક આપવા સાથે કઈ રીતે બનાવી શકાય, એમ બંને રીતે તાલીમાર્થી સજ્જ બનશે. મહાનગરોમાં ક્લાઉડ કિચન લોકપ્રિય બની રહ્યા છે ત્યારે આ કોર્સ કરનાર પોતાના સ્વતંત્ર કલાઉડ કિચન દ્વારા પણ દર્દીઓને ચોક્કસ ખોરાક પહોંચાડી શકશે. - નવીનત્તમ કોર્સમાં પ્રવેશ માટે સંપર્ક નંબર : પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિને વેગ આપવા નવીનત્તમ પ્રકારના કોર્સમાં પ્રવેશ મેળવવા માટે પ્રિયેન રાજગોર મો. નં. 97275 51554 અને 99742 14446 પર સંપર્ક સાધવા ઈન્સ્ટિટ્યૂટના સંચાલકો દ્વારા જણાવાયું છે. - કચ્છ યુનિ. સંલગ્ન હેલ્થ- વેલનેસ ડિપ્લોમા કોર્સ : ડિપ્લોમા ઇન યોગા વીથ વેલનેસ  એપ્લિકેશન - ડિપ્લોમા ઇન નેચરોપેથી થેરાપિસ્ટ કેપ્રિહેન્સિવ - ડિપ્લોમા ઇન નેચરોપેથી ન્યૂટ્રિશન (આ તમામ કોર્સ એક વર્ષની સમયમર્યાદાના છે અને ધો. 12 પાસ થયા પછીના છે, જે તમામ ઓનલાઇન સાથે પ્રક્ટિકલ પદ્ધિતિથી ચાલશે.) 

Panchang

dd