નલિયા, તા. 16 : અબડાસા તા.ના મુખ્ય મથક નલિયાથી
વાયોર જતી નવી રેલવે લાઈનના પ્રોજેક્ટને કારણે નલિયાની સ્વર્ણિમ સોસાયટીમાં પીએમ આવાસ
યોજના અંતર્ગત ઘરનું ઘર મેળવનારા ગરીબ પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અહીં 37 લાભાર્થીને પ્લોટો ફાળવી સનદ
અપાઈ હતી અને તાજેતરમાં બાંધકામના હપ્તા પણ ચૂકવાયા હતા. જો કે, હવે આ સોસાયટી રેલવે લાઈનની કપાતમાં જઈ રહી
છે, જેમાં રેલવે તંત્રએ કરેલા સર્વેમાં ગંભીર વિસંગતતા સામે આવી
છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, રેલવેએ માત્ર પોતાના પાટાનો ઉપયોગ
પૂરતો જ મર્યાદિત અને પક્ષપાતી સર્વે કરીને માત્ર 21 કાચા મકાનો જ દર્શાવ્યાં છે, જ્યારે હકીકતમાં નીતિ-નિયમ મુજબ મોટાભાગના મકાનો
અને રસ્તાઓ કપાતમાં જાય છે. આ ઉપરાંત, ભવિષ્યમાં અહીંથી ટ્રેન
પસાર થતાં બાળકો અને ઢોર-ઢાંખરની સુરક્ષા સામે પણ મોટું જોખમ ઊભું થશે. આ પરિસ્થિતિને
પગલે પીડિત પરિવારોએ તંત્ર સમક્ષ સ્થળ પર આવીને તટસ્થ પુન: સર્વે કરવાની, તમામ અસરગ્રસ્તોને ન્યાય આપવાની અને યોગ્ય વળતર ચૂકવવાની ઉગ્ર માંગ કરી છે.