નખત્રાણા, તા. 3 : સાર્વત્રિક કમોસમી વરસાદનાં
કારણે મગફળી, ડાંગર, કપાસ સહિતના ખરીફપાકોને મોટું નુકસાન થતાં ખેડૂતોનાં મોઢાંમાં આવેલો કોળિયો
જાણે છીનવાઈ ગયો છે, એક બાજુ કુદરત રૂઠી છે, તો બીજી બાજુ સરકારે ખેડૂતોને પાયમાલ કરવાનું જાણે મન બનાવી લીધું હોય તે રીતે
ગુજરાતમાં છેલ્લી સાત સિઝનમાં વાવાઝોડાં, અતિવૃષ્ટિ કે કમોસમી
વરસાદના ભોગ બનેલા ખેડૂતને રાહત પેકેજની માત્ર જાહેરાત કરીને સંતોષ માની લે છે,
જ્યારે વાસ્તવમાં ખેડૂતોને ચૂકવવાનું થાય ત્યારે કરેલી જાહેરાતના 30થી 35 ટકા રકમ પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી નથી. ગયા વર્ષે 2024ના જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં
અતિવૃષ્ટિ, ઓક્ટોબર 2024નો કમોસમી વરસાદનો માર, ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આવેલ અતિવૃષ્ટિ
ને અત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. ખેડૂતોએ લીધેલા પાક ધિરાણ પણ
ભરી શકે તેમ નથી. આવનારી શિયાળુ સિઝન માટે વાવેતર કરવા માટે બિયારણ, ખાતર લેવાના પણ રૂપિયા ખેડૂતો પાસે નથી, ત્યારે ખેડૂતોનાં
દેવાં માફ કરવા ગુજરાતમાં પાક વીમા યોજના તાત્કાલિક ચાલુ કરવા અને તાત્કાલિક નુકસાનીનાં
વળતર માટે વિશેષ રાહત પેકેજ આપવાની માંગ કચ્છ કિસાન કોંગ્રેસે કરી છે. ખેડૂતોની મગફળીમાં
કમોસમી વરસાદનાં કારણે ભેજનું પ્રમાણ વધારે હશે જ, માટે ટેકાના
ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરી ભેજયુક્ત મગફળીની ટેકાના ભાવે 300 મણ ખરીદી કરવામાં આવે તો ગુજરાતમાં
શિયાળુ પાકના સમયે જ અત્યારથી રાસાયણિક ખાતરની અછત વર્તાઈ રહી છે, તો ખેડૂતોને પૂરતાં પ્રમાણમાં ખાતરનો જથ્થો
મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા રજૂઆત  કરાઈ છે.
જિલ્લા કિસાન કોંગ્રેસ ચેરમેન યોગેશભાઈ પોકાર, નખત્રાણા શહેર
પ્રમુખ લખવીર રબારી, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા કેતન પાંચાણી,
રમેશદાન ગઢવી, વંકાભાઇ રબારી, પ્રેમજી દાફડા, નરેશભાઇ શાહ તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓ
જોડાયા હતા.