પ્રાગપર (તા. મુંદરા), તા. 28 : કોરોનાનો
રોગ આવ્યો તો રસી શોધાઈ, પણ વૃક્ષ નહીં
રહે તો તોફાન, અતિવૃષ્ટિ, દુકાળ આવશે,
જેનો કોઈ ઉપાય નથી, બચવું હોય તો દરેક પાંચ વૃક્ષ
વાવવાનો સંકલ્પ લઈને જાવ. રૂપિયા ખૂબ કમાયા, હવે આ દોડ પાછળ આવનારી
પેઢી અને પ્રકૃતિ વિનાશ ન થઈ જાય તે વિચારજો, એવી શીખ આજે રાજસ્થાનના
સંત રામાચાર્યજીએ અહીં આહિંસાધામમાં આયોજિત બેદિવસીય સંમેલનના આરંભે આપી હતી. તાલુકાના પ્રાગપર રોડ સ્થિત ભગવાન મહાવીર પશુ રક્ષા
કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ ખાતે શનિવારે સવારે પ્રારંભિક સત્રથી શરૂ થયેલા બે દિવસીય
જીવદયા અને પર્યાવરણનાં સંમેલનમાં આશીર્વચન આપતાં બિશ્નોઇ સમાજના સંત રામાચાર્યજીએ
વધુમાં કહ્યું કે, ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવાનો અને ગૌરક્ષાનો
સંકલ્પ લેવાનો છે. ગાય ભારતની જ નહીં, વિશ્વની માતા છે. વૃક્ષો
બચાવવા માટે ત્રણ સદી પહેલાં પોતાના જીવનું બલિદાન આપનારા રાજસ્થાન માતા અમૃતાની વાત
કરતાં તેમણે ઉમેર્યું કે, વૃક્ષો કપાશે તો આવનારું ભવિષ્ય દુર્ગમ બનશે. અહિંસાધામ જેવાં કેન્દ્રો
દ્વારા માનવતા - પશુસેવાનાં કામ કરી જાવ. નામ, નાણાં કે મહેલ
કંઇ કાયમ નથી રહેવાનું. આ સંમેલન દરમિયાન આહિંસાધામ દ્વારા આકાર લઈ રહેલા નવા અદ્યતન પશુ આવાસના લાભાર્થે દાનની
સરવાણી વહી હતી. સમારંભમાં પ્રમુખ પદેથી કાશીબા
હરિભાઈ ગોટી ચેરિ. ટ્રસ્ટ-સુરતના પ્રમુખ કેશવભાઈ ગોટીએ એન્કરવાલા અહિંસાધામમાં સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિનાં દર્શન થતાં હોવાનું
કહીને ઉમેર્યું કે, સ્વાર્થથી ઉપર ઊઠીને જે સેવા કરે છે એ ઋષિ
છે. સંઘની સદપ્રવૃત્તિઓના અનુભવો ટાંકતાં તેમણે કહ્યું કે, 11 વર્ષથી ભારત જાગ્યું છે. નકસલ
વિસ્તારોમાં શાળાઓ બનાવી તેના મૂળમાં આરએસએસનું યોગદાન છે. જંગલ, પહાડ, સરહદી વિસ્તારોમાં
કામ કરવું પડશે. સંપ્રદાયોમાં ફસાતા ગયા એમાં રાષ્ટ્રીયતા પાછળ રહી ગઈ છે. ટ્રસ્ટનાં માધ્યમથી 351 શાળા બનાવી તેમાં કચ્છના દાતાઓનું
મોટું યોગદાન છે. અતિથિપદેથી કેશવ સૃષ્ટિ ટ્રસ્ટના યોગેન્દ્ર રાજપુરિયાએ તેમની સંસ્થા
દ્વારા ગોબરની ચીજોનાં ઉત્પાદન તથા સેવાની વિગતો આપી હતી. અતિથિપદેથી ગાંધીધામના જાણીતા
ઉદ્યોગપતિ-દાતા બાબુભાઈ હુંબલે કહ્યું કે, પ્રાગપરમાં પશુઓની માનવસેવા કરતાં પણ વિશેષ સેવા થઈ રહી છે, એમાં પણ બીમાર પશુઓની કઠિન સેવા પ્રશંસનીય છે. આ તબક્કે તેમણે આ સંસ્થાના પાયામાં
રહેલા દાનવીર દામજીભાઈ એન્કરવાલા તેમજ તારાચંદભાઈ છેડાને યાદ કરીને કહ્યું કે,
એમનાં સેવાકાર્યમાંથી પ્રેરણા લેવી જોઈએ. માત્ર પરિવાર નહીં,
સમાજનું વિચારો, ભાવિ પેઢીનું ભાગ્ય હશે તો એમને
મળશે જ. અતિથિપદેથી વિમલભાઈ કેડિયાએ કહ્યું કે, દેશમાં હકારાત્મક
વિચારો આગળ વધે છે અને સંસ્કૃતિ - માનવતાનું જાગરણ થઈ રહ્યું છે, તેનાં કેન્દ્રમાં ગૌમાતા છે. આ સાથે તેમણે અહિંસાધામને એક તીર્થ સમાન ગણાવી
સંસ્થાની પ્રવૃત્તિઓ બિરદાવી હતી. વરિષ્ઠ એડવોકેટ અને `િહંસા વિરોધ'ના માનદ્તંત્રી અરુણભાઇ ઓઝાએ જીવદયાને ઈશ્વરીય
કાર્ય કહેતાં સ્વ. ગીતાબેન રાંભિયાની હત્યા પછીનું આંદોલન, કાનૂની
સંઘર્ષની વાતો વર્ણવી ઉમેર્યું કે,
કતલખાના બંધ કરવામાં ગુજરાતે પહેલ કરી છે. આ સાથે તેમણે અહિંસાધામમાં
વિદ્યાર્થીઓની નિયમિત મુલાકાતોથી નવી પેઢીને મળતી પ્રેરણાને બિરદાવી હતી. આ પહેલાં
સંસ્થાના મેનાજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સંગોઇએ કાર્યક્રમની વિગતો આપતાં કહ્યું કે,
વર્ષમાં બે વખત યોજાતું આ સંમેલન દેશભરમાં ગૌસેવા - પર્યાવરણ - જીવદયા
માટે કામ કરનારાઓને એક મંચ પર લાવે છે. છેલ્લા એક વર્ષમાં એક લાખ વૃક્ષોનું નંદી સરોવર
નજીક ઊભા કરાયેલા વનમાં વાવેતર થયું છે. અમારું લક્ષ્ય 10 લાખ વૃક્ષ વાવેતરનું છે. તળાવ
નિર્માણ, પાણી સંગ્રહ, ટપક સિંચાઈ,
ઘાસ વન, પશુ આઇસીયુ જેવી પ્રવૃત્તિઓની વિગત આપીને
તેઓએ કૃષ્ણ ભગવાનના સમય જેમ ગાયોની સંભાળનો સંસ્થાનો નિર્ધાર દર્શાવ્યો હતો. સંસ્થાના
પ્રમુખ હરેશભાઈ વોરાએ મહેમાનોને આવકાર આપ્યો હતો. ટ્રસ્ટીઓ મૂલચંદભાઈ છેડા, ડાયાલાલભાઈ ઉકાણી, સંસ્થાના સીઈઓ ડો. ગિરીશ નાગડા, મેનેજર રાહુલ સાવલા વિ. ઉપસ્થિત રહ્યા
હતા. કાવ્યમય શૈલીમાં સંચાલન કરતાં અમૃત નીશરે કહ્યું કે, પ્રકૃતિમાંથી
આપવાનું શીખતા રહેવું જોઈએ. - આજે આહિંસા એવોર્ડ અર્પણ : આ બેદિવસીય સંમેલનમાં દ્વિતીય દિવસે રવિવારે
સવારે 9 કલાકથી વિશિષ્ટ મહાનુભાવના વક્તવ્ય યોજાશે
તેમજ ચાર સેવાભાવીને અહિંસા એવોર્ડ અર્પણ કરવામાં આવશે. આ એવોર્ડમાં જુહુ વિલેપાર્લાના ડો. શ્રી
કુમાર ચેટરજી (વિશ્વ આધ્યાત્મિક ગાયક), મુંબઈ હાઇકોર્ટના એડવોકેટ ગૌરક્ષક રાજુભાઈ ગુપ્તા, પાલીતાણા
સ્થિત જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના જિજ્ઞાબેન શેઠ તેમજ સુરેન્દ્રનગર સ્થિત અનુબંધ
ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક નિરૂપાબેન શાહનો સમાવેશ થાય છે.