નવી દિલ્હી, તા. 2 : ભારતે પાકિસ્તાનના
પંજાબ પ્રાંતમાં એક જૂના હિન્દુ મંદિરને તોડી પડાતાં આકરી નિંદા કરી છે, લઘુમતી પ્રતિનિધિઓ અને સ્થાનિકોએ આરોપ લગાવ્યો
છે કે મંદિરની જમીન ઉપર કે તેની નજીક મદરેસા માટે રસ્તો બનાવવા માટે આ મંદિરને તોડી
પાડવામાં આવ્યું હતું. લાહોરથી 130 કિ.મી. દૂર નારોવાલના સિરાજ ગામનાં મંદિરને 21મી ઓગસ્ટે તોડી પાડવામાં આવ્યું હોવાના
અહેવાલ છે. જો કે, પાકિસ્તાની
અધિકારીઓએ દાવો કર્યે છે કે, મુશળધાર વરસાદને કારણે સદી કરતાં
વધુ જૂનું આ મંદિર ધરાશાયી થયું હતું. આ ઘટનાને લોકોએ લઘુમતી સમુદાયના પૂજા સ્થળ પર
ચિંતાજનક હુમલો અને ધાર્મિક વારસાનું રક્ષણ કરવામાં અધિકારીઓની `ચિંતાજનક' નિષ્ફળતાની નિશાની ગણાવી છે. ભારતના વિદેશ મંત્રાલયના
પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, `પાકિસ્તાનના નારોવાલના સિરાજ ગામમાં ઐતિહાસિક હિન્દુ મંદિરને
ધરાશાયી કરવાના ચિંતાજનક હેવાલો પર અમે ઊંડી ચિંતા સાથે નોંધ લીધી છે. અમે આસ્થાસ્થાનની
તોડફોડનાં આ કૃત્યની નિંદા કરીએ છીએ. સત્તાવાળાઓની ઉદાસીનતા અને જૂના મંદિરનું રક્ષણ
કરવામાં નિષ્ફળતા રહેવું એ ચિંતાજનક છે. આવી ઘટનાઓ પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયોની નબળી
સ્થિતિ, તેમની ધાર્મિક સ્વતંત્રતા અને દેવાલયા ના ગંભીર
ઉલ્લંઘનને દર્શાવે છે.