નવી દિલ્હી, તા. પ : સેશલ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સર્વોચ્ચ સન્માન પર ટિપ્પણી કરનાર
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ પર આકરા પલટવાર કર્યા હતા. ભારત સરકારના ઉચ્ચ
પદસ્થ સૂત્રોએ પ્રહાર કરતાં કહ્યું હતું કે, ખ્વાજા આસિફની માનસિક
હાલત સારી નથી. તેમની પાસે કોઈ કામધંધો નથી એટલે એવા મામલાઓ પર બાલિશ ટિપ્પણી કરીને
સમય કાઢે છે. જેની તેમને જરા જેટલી પણ સમજ નથી તેવા પ્રહારો સરકારે કર્યા હતા. સરકારે
કહ્યું હતું કે, આસિફને સંરક્ષણ મંત્રાલય જેવી મોટી જવાબદારી
મળવી એ જ પાકિસ્તાનની કંગાળ દશા દર્શાવે છે. મોદી સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે,
ખ્વાજા આસિફ માનસિક રીતે અસ્થિર છે. એ સૌ કોઈ જાણે છે. સ્પષ્ટ છે કે,
પાકિસ્તાનના રક્ષામંત્રી પાસે આખો દિવસ કરવા માટે કોઈ કામ નથી. નફરતથી
ભરેલા આસિફ ઈર્ષ્યા બહાર કાઢે છે. ખ્વાજા આસિફે સેશલ્સમાં મોદીનાં સન્માનની મજાક ઉડાવી
હતી અને તેને પહેલાથી `સેટિંગ' કરીને તૈયાર કરાયેલું સન્માન લેખાવ્યું હતું.