ગાંધીધામ, તા. 24 : તાલુકાના શિણાય નજીક પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જવાથી પિતા અલ્પેશભાઈ પુંજાભાઈ બજરિયા (ઠાકોર) અને પુત્ર
ગણેશ અલ્પેશભાઈ બજરિયા (ઉ.વ. 22)નાં મૃત્યુ
થતાં ચકચાર પ્રસરી હતી. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, શિણાય નજીક આવેલા ભેડિયામાં આ ઘટના બની હતી.
મૂળ મહેસાણાના ખેરાલુના આ પિતા-પુત્ર પાણી ભરેલા ઊંડા ખાડામાં નહાવા માટે ગયા હતા.
તે દરમ્યાન પુત્ર ગણેશ કોઈ પ્રકારે ડૂબવા લાગ્યો હતો, જેને પિતાએ બચાવ પ્રયાસ હાથ ધરાયા
હતા. દરમ્યાન પિતા-પુત્ર જોતજોતામાં પાણીમાં ગરકાવ થયા હતા. આ વેળાએ મૃતકના પરિચિતો પણ સાથે હતા. પ્રસાશન દ્વારા મૃતકોની શોધખોળ આરંભી હતી.
આ કાર્યવાહીમાં ડોલ્ફિન કંપનીના તરવૈયાઓની મદદ લેવાઈ હતી. અંદાજિત સાડા
ચારથી પાંચ કલાકના વ્યાયામ બાદ પિતા-પુત્રના મૃતદેહ 30-40 ફૂટ ઊંંડા ખાડામાંથી મળી આવ્યા
હતા. પિતા-પુત્રના મૃત્યુને લઈને પરિવારમાં ગમગીની પસરી હતી. મૃતક શિણાય નજીક આવેલી ખાનગી સોસાયટીમાં ચોકીદાર તરીકે
નોકરી કરતા હોવાની વિગતો સાંપડી હતી. આ બનાવ અંગે પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ
છાનબીન આરંભી છે.