ભુજ, તા. 24 : ચેક પરતના જુદા-જુદા બે કેસમાં
ચીફ જ્યુડિશિયલ કોર્ટે આરોપીઓ રાજકોટના ચિરાગ અમિતભાઈ ચૌહાણ અને ભુજના નવીનચંદ્ર નાગજીભાઈ
વોરાને તકસીરવાન ઠેરવી એક-એક વર્ષની કેદ અને
વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. ફરિયાદી રાજેશ વિરમ જોટવાએ આરોપી ચિરાગ ચૌહાણે મિત્રતાના
નાતે ધંધાકીય જરૂરિયાત હોતાં રૂા. પાંચ લાખ ઊછીના લીધા હતા, જેના પેટે અપાયેલો ચેક પરત ફર્યો હતો. અદાલતે
વિવિધ દસ્તાવેજી પુરાવાઓ તપાસવા સાથે બંને પક્ષને સાંભળી આરોપી ચિરાગને તકસીરવાન ઠેરવ્યો હતો અને એક વર્ષની સાદી કેદની
સજા તેમજ રૂા. 6.50 લાખ દંડ કર્યો
હતો. જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની કેદનો હુકમ કર્યો હતો. આ સાથે જ રૂા. 6.40 લાખ વળતર ચૂકવવાનો હુકમ પણ
કોર્ટે કર્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી ધારાશાત્રી વિવેકસિંહ આર. જાડેજા, ધૈર્ય વી. ઠક્કર તથા રણજિતસિંહ સોઢા હાજર રહ્યા
હતા. અન્ય કેસમાં ફરિયાદી ભરત અમૃતલાલ મહેતાએ આરોપી નવીનચંદ્રને નાણાંની જરૂરિયાત ઊભી
થતાં તેને રૂા. બે લાખ ઉછીના આપ્યા હતા, જે પેટે અપાયેલો ચેક
પરત ફર્યો હતો. અદાલતે બંને પક્ષની દલીલ સાંભળી આરોપી નવીનચંદ્રને તકસીરવાન ઠેરવતો
ચુકાદો આપ્યો હતો અને એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની દોઢી રકમ વળતર તરીકે 30 દિવસમાં ચૂકવવા હુકમ કર્યો
હતો. જો તેમ કરવામાં કસૂર થાય તો વધુ બે માસની સજાનો આદેશ કર્યો હતો. આ કેસમાં ફરિયાદીના
વકીલ તરીકે અમિત એ. ઠક્કર સાથે પ્રશાંત બી. મકવાણા અને રાજેશ ભાનુશાલી હાજર રહ્યા હતા.