મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 2 : રામદેવપીરના
મેળા પૂર્વે રામેશ્વર રોડ ફંટાય છે તે મોટી વિરાણીથી નખત્રાણા જતા રસ્તે ગીચ ઝાડી દૂર
કરવા તાતી જરૂર છે. મેળા દરમ્યાન ત્રણ દિવસ વધુ ટ્રાફિક રહેશે તે ધ્યાને લઇ સત્વરે
કામગીરી હાથ ધરાય તેવી લોકમાંગ ઊઠી છે. વિરાણીથી નખત્રાણા જતા રસ્તા પર જમણી તરફ રામેશ્વરને
જોડતા માર્ગે વરસાદ બાદ ગીચ ઝાડીઓ ઊગી નીકળી છે. ગાંડો બાવળ ફૂલ્યોફાલ્યો છે અને અમુક
વળાંક પર સામેથી આવતાં વાહનો પણ સ્પષ્ટ દેખાતાં ન હોવાથી અકસ્માતની ભીતિ વ્યક્ત કરાઇ
છે. આવનારા દિવસોમાં રામેશ્વર ખાતે રામદેવપીરનો લોકમેળો ભરાશે ત્યારે આ રસ્તે મોટી
વિરાણી, પાવરપટ્ટીના ગામડાંના સહેલાણીઓ પોતાનાં વાહનો
તેમજ અન્ય વાહનોની સતત અવરજવર રહેશે અને ત્રણ દિવસ ટ્રાફિક વધુ રહેશે. આ બાબતને ધ્યાને
લઇ તંત્ર તાત્કાલિક રસ્તા પરના ગાંડા બાવળ દૂર કરે તેવી લોકમાંગ કરાઇ છે.