અમદાવાદ, તા. 2 : સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વ
વિદ્યા પ્રતિષ્ઠાનમ્ દ્વારા પર્યાવરણ જતન અને સંવર્ધનની દિશામાં અદ્ભુત પહેલ કરાઇ છે.
દેશના ગૃહમંત્રી ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં વૃક્ષારોપણના સંકલ્પથી પ્રેરિત થઇ ગુરુકુળ
પરિવાર દ્વારા એક લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવાયો હતો. અમદાવાદ બાદ વડોદરા ખાતે વૃક્ષારોપણ
કાર્યક્રમનું આયોજન કરાયું હતું. એસજીવીપીના અધ્યક્ષ માધવપ્રિયદાસજી તથા બાલકૃષ્ણ દાસજીની
વિશેષ ઉપસ્થિતિમાં અને માર્ગદર્શન હેઠળ સંતો તેમજ હરિભક્તો જોડાયા હતા. ન્યાસા ઓક્સિજન
પાર્ક ખાતે સંતો અને ભક્તોએ સ્વહસ્તે છોડ વાવીને શહેરને હરિયાળું અને પ્રદૂષણમુક્ત
બનાવવાનો દૃઢ સંકલ્પ લીધો હતો. માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, `વૃક્ષ એ જ
જીવન છે' વર્તમાન સમયમાં વૃક્ષોના અભાવે માનવજાત અનેક
ગંભીર પર્યાવરણીય સમસ્યાઓનો સામનો કરી રહી છે. આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ આપવા માટે
વૃક્ષારોપણ તેમજ તેનું જતન કરવું આવશ્યક છે.