મુંદરા, તા. 17 : સરકાર આમ તો ગામડાંઓમાં પાણી,
ગટર, રસ્તા, સમાજવાડી,
ચેકડેમો માટે રકમો ફાળવતી જ હોય છે અને કામો પણ થઈ રહ્યાં છે,
પરંતુ ઘણીવાર એવું બનતું હોય છે કે, તંત્રની પ્રક્રિયા
કરવામાં લાપરવાહી હોય કે જે -તે ગામમાં કામનું
સ્થાન નક્કી કરવામાં મતમતાંતર હોય, એ ગ્રાન્ટ પાછી ચાલી જાય અને
અંતે લાભથી ગામને વંચિત રહેવાનો વારો આવે છે. મુંદરા તાલુકાનાં ભદ્રેશ્વર નજીક ખારી-
મીઠી નદી વિસ્તારમાં મંજૂર ચેકડેમમાં પણ યોગ્ય સ્થાને નહીં બને, તો આવી જ સ્થિતિ ઊભી થવાનો મામલો બહાર આવ્યો છે. મળેલી વિગતો પ્રમાણે,
થોડા સમય પહેલાં લુણી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાલા, વાઘુરા, કુંદરોડી
વિ. ગામોના કુલ લગભગ 12 કરોડના વિવિધ વિસ્તારનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત થયું, એ કામ સાથે ભદ્રેશ્વર નજીક નદી પાસે ચેકડેમ
માટે ય ખાતમુહૂર્ત થયું હતું, જેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ
થઈ હતી, અને અન્ય વિકાસકામો
તો પૂર્ણ પણ થઈ ગયા પરંતુ ડેમ માટેની સૂચિત જગ્યા નજીક જ બીજો બંધારો હોવાથી અને ખેડૂતોને
આ નિર્માણ ઉપયોગી નહીં નિવડે એટલું જ નહીં, અતિવૃષ્ટિમાં ગામમાં
પાણી આવવાની પણ શક્યતા હોવાની રજૂઆત ઊઠી છે. આ સંજોગોમાં જગ્યા બદલાય તો ઠીક, નહીં તો જૂની
રદ થશે ને રૂપિયા 1.11 કરોડ જેટલી
મંજૂર ગ્રાન્ટ પાછી જવાનો ભય ઊભો થાય છે. દરમિયાન,આ મામલો બહાર આવતાં હકીકત જાણવા કાર્યપાલક એન્જિનીયર વિશાલ ગઢવીનો સંપર્ક કરવાનો
પ્રયાસ કર્યો હતો. જો કે, ફોન રિસીવ થયો ન થયો હતો. આ પછી કચ્છ સિંચાઈ (રાજ્ય)ના ડેપ્યુટી ઇજરનો આ સંદર્ભે
હકીકત જાણવા સંપર્ક કરતાં તેમણે કહ્યું કે, ટેન્ડર પ્રક્રિયા
પૂર્ણ થયા પછી કોઈ રજૂઆત આવે, તો કામ નથી કરાતું. આખરે લોકોનાં
હિત માટે કામો થતાં હોય છે. આ પછી સરકારમાં
અમે રજૂઆત સંદર્ભે રિપોર્ટ મોકલાવીએ છીએ ને સરકારને યોગ્ય લાગે, તો ડેમ રદ કરી શકે છે. જો નવું સ્થળ
પસંદ કરવાનું થાય, તો નવી ડિઝાઇન બનાવવાની થાય અને ફરી સર્વે
થાય અને નવી દરખાસ્ત પણ સરકારને યોગ્ય લાગે અને ખેડૂતોની ઉપયોગીતા જોઈને મંજૂરી કરે.
એમાં સમય જાય, `તો ભદ્રેશ્વર
નદીનો ચેકડેમની શું સ્થિતિ છે' એવા સીધા
સવાલ પર તેમણે કહ્યું કે, રજૂઆત આવી છે. સહમતિ સધાશે, તો થોડી નજીકના બીજો નિર્માણ
થશે, અન્યથા નવી પ્રક્રિયા
થશે. - નદીની ઉત્તર
બાજુ ખેતીવાડીને લાભદાયક : પૂર્વ જિ. પં. સદસ્યની લેખિત રજૂઆત : મુંદરા,તા. 17 : ભદ્રેશ્વરમાં ખારી-મીઠી નદી
પર મંજૂર ચેકડેમ સૂચિત જગ્યાએ બનાવાશે, તો આસપાસ ખેતી નહીં હોવાથી બિનઉપયોગી બનશે, એથી નદીની ઉત્તર બાજુએ સર્વે કરીને
બનાવવા લેખિત રજૂઆત કરાઈ છે. આ વિસ્તારના પૂર્વ જિ. પં. સદસ્ય કૈલાસબા પ્રદ્યુમનાસિંહ
જાડેજાએ કચ્છ સિંચાઈના કાર્યપાલક એન્જિનીયરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવાયા મુજબ, નદીમાં મુંદરા - ગાંધીધામ રોડની દક્ષિણ
બાજુ અગાઉથી જ ક્ષાર નિયંત્રણ વિભાગ દ્વારા એક મોટો બંધારો બંધાયો છે, જેના કારણ એ વિસ્તારમાં વરસાદી પાણીનો
બારેમાસ સંગ્રહ રહે છે અને ચેકડેમ બન્યા પછી વધુ વરસાદ થાય, તો
ગામના રહેવાસી વિસ્તાર બાજુ પાણી આવી શકે એમ છે, તેમજ ખેતીની
જમીન નથી. તેમણે ઉમેર્યું કે, ઉત્તર બાજુ બને, તો ભદ્રેશ્વર તથા પાવડિયારા બંને ગામની વાડીઓ અને ખેતીની જમીન આવેલી છે તેમજ
ગ્રામજનોને પીવાનું પાણી પૂરું પાડતો ગ્રામ પંચાયતનો બોર પણ આવેલો છે, જેથી ઉત્તર બાજુ બને તો ગામને લાભદાયક રહેશે. આ સંદર્ભે ધારાસભ્યને પણ અગાઉ
રજૂઆતો કરાઈ છે.