• બુધવાર, 13 મે, 2026

કેરા મંદિરના પાટોત્સવ પ્રસંગે 11 લાખનું દાન

કેરા (તા. ભુજ), તા. 12 : સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનાં કેરા મંદિરે પાટોત્સવ પ્રસંગે મૂળ કેરાના હાલે મોમ્બાસાવાસી દાતા દ્વારા વિવિધ સંસ્થાઓને 11 લાખનું દાન અપાયું હતું. ગાદી આચાર્ય જિતેન્દ્રપ્રિયદાસજીએ સારા વરસાદના આશીર્વાદ આપ્યા હતા. સ્વામિનારાયણ લેવા પટેલ સમાજવાડી કુંદનપરને પાંચ લાખ, ભુજની કે. કે. પટેલ હોસ્પિટલને ફિલ્ટર પ્લાન્ટ સમારકામ પેટે દર વર્ષે જાહેર કરાયેલા એક-એક લાખ પૈકી બે લાખ, જડેશ્વર મહાદેવ ગૌશાળા માટે દોઢ લાખ પાણીનો ટાંકો બનાવવા, એક લાખ ગામની ગૌશાળાને, 75000 ભુજ માનવ સેવા ટ્રસ્ટને સાત દિવસ ભોજન પેટે ઘનશ્યામભાઇ માવજી ટપરિયાએ  પુત્ર સ્વ. રાજેશની સ્મૃતિમાં દાનના ચેક આપ્યા હતા. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય મહારાજ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીએ કચ્છને સારા વરસાદના આગોતરા આશીર્વાદ પાઠવ્યા હતા. વરિષ્ઠ દાતા વેલજીભાઇ ઝીણાભાઇ ગોરસિયા, પૂર્વ ટ્રસ્ટી જાદવજીભાઇ વરસાણી સહિતના ચોવીસીના સિદ્ધાંત સજીવન મંડળના સભ્યો ઉપસ્થિત રહી અન્નકૂટ, કથાવાર્તાનો લાભ લીધો હતો. કેરા-કુંદનપરનાં ગૌરક્ષણ ટ્રસ્ટ સભ્યોને પ્રસાદીની પાઘ પહેરાવાઇ હતી. મંદિર પ્રમુખ નરેન્દ્રભાઇ વાઘજિયાણીએ શબ્દ સંકલન કર્યું હતું. ગાદી ગ્રંથ પારાયણ, આરતી પૂજન, જનમંગળ પૂજન કરાયું હતું.  ગોપાલ મનજી હરસિયાણી,  જિતેન્દ્રભાઇ બંધુઓએ મનજી વાલજી હરસિયાણી તરફથી ચાર ચાંદીના હાર ઠાકોરજીને  અર્પણ કર્યા હતા. શિક્ષણ ટ્રસ્ટ પ્રમુખ દેવેન્દ્રભાઇ વાઘજિયાણી, મંત્રી વસંત પટેલ, કુંદનપરના અગ્રણી રવજી કેરાઇ, અલ્પેશ ભુવા, હિતેશ ગામી, સહદેવસિંહ જાડેજા, લાલજી વાઘડિયા, કરશન રાબડિયા, અરવિંદ હિરાણી,  અરવિંદ ભુવા, પ્રેમજીભાઇ રાબડિયા, પરેશ સેંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd