બાલાચોડ મોટી, તા. 6 : અબડાસા તાલુકાના
બાલાચોડ મોટી ગામે સરકારી જમીન પર ખેતીવાડીના લગાવેલા વીજ ટ્રાન્સફોર્મર દૂર કરવા ખેડૂત
ખાતેદારોએ માંગ કરી છે. અશ્વિન નાનજી ભદ્રા, હરિરામ શંકરલાલ ભાનુશાલી અને શંકરલાલ લખમશી સુથાર દ્વારા નખત્રાણા પી.જી.વી.સી.એલ.
સમક્ષ અરજી કરીને જણાવ્યું હતું કે, આ ટ્રાન્સફોર્મર ગેરકાયદે
લગાડેલા હોવાથી તાકીદે હટાવવા જોઇએ. ગામની અંદર આવેલી વાડીઓની બાજુમાં સરકારી જમીન
પર ખેડૂત દ્વારા સરકારી જમીન પર ખેતીવાડીનું ગેરકાયદેસર વીજ જોડાણ કરાયું હોવાના આક્ષેપો
કરાયા હતા તેમજ વીજ જોડાણથી નીલગાય, કૂતરાં, ગાય-બકરી જેવા મૂંગા પશુઓથી રક્ષણ માટે ખુલ્લા શોર્ટસર્કિટ કરાતા હોવાની ફરિયાદ
કરાઇ હતી. સ્થળ ચકાસણી કરી મંજૂર થયેલા વીજ કનેક્શનનો દુરુપયોગ થતો અટકાવવા જણાવ્યું
હતું. ખેડૂતોએ કેટલાક આક્ષેપ પણ કર્યા હતા કે પી.જી.વી.સી.એલ.ની લાઇનનો દુરુપયોગ થાય
છે. ખરેખર તે અટકાવવાની જરૂરત છે, આ સાથે તેમણે લખેલા પત્રમાં
કલેક્ટરના હુકમ થયા હોવાનું પણ જણાવ્યું હતું.