નવી દિલ્હી, તા. 21 : દુનિયાભરના
દેશોની હવાઇ શક્તિનું પ્રદર્શન જ્યાં જોવા મળે છે,
તેવા દુબઇના એર-શો દરમ્યાન કલ્પના પણ ન થઇ શકે તેવી લેખાવાયેલી દુર્ઘટનામાં
ભારતનું સ્વદેશી યુદ્ધવિમાન `તેજસ' નિદર્શન
ઉડાન ભર્યા પછી અચાનક જ દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું, જેમાં પાઈલટનું
મોત થઇ ગયું હતું. ભારતીય વાયુદળે પાઈલટને અંજલિ આપતાં જણાવ્યું હતું કે, દળ આ કદી પૂરી ન શકાય તેવી ખોટ પર ઊંડો શોક વ્યક્ત કરે છે. આ કઠીન સમયમાં પાઈલટના
પરિવારની સાથે છીએ. ભારતીય વાયુદળે આ દુર્ઘટના થવા પાછળનાં કારણોની તપાસ કરવા માટે
`કોર્ટ ઓફ ઇન્કવાયરી'ની રચના કરવાનો ફેંસલો કર્યો છે. આ ઘટના શુક્રવારની
બપોરે બે અને 10 મિનિટે બની
હતી. વિમાન હવામાં શાનદાર વળાંક લઇ રહ્યું હતું,
ત્યારે જ નિયંત્રણ ખોઇ દીધું હતું. થોડીક સેકંડમાં જ નીચે નમીને તરત
જ જમીન પર ટકરાતાં જોરદાર ધડાકો થયો અને અલ મકતૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઊંચે સુધી
ધુમાડા દેખાયા હતા. દુબઇ એર-શો દુનિયાનાં મોટાં ગજાંના ઉડ્ડયન જગતના આયોજનોમાં સ્થાન
ધરાવે છે. `તેજસ' તૂટી પડવાની ખતરનાક દુર્ઘટનાથી આ એર-શોની સુરક્ષા
સામે ગંભીર સવાલો ઊઠવા માંડયા છે. `તેજસ' દુર્ઘટનાગ્રસ્ત
થયા બાદ આગની જ્વાળા, ધુમાડા વચ્ચે જવાનોની ટીમ તરત ધસી ગઇ હતી
અને અધિકારીઓએ તપાસ આદરી હતી. અગાઉ 2024માં રાજસ્થાનનાં જેસલમેરમાં ભારતીય યુદ્ધવિમાન તેજસ સંભવત: એન્જિન
નિષ્ફળ થવાથી તૂટી પડયું હતું. તેજસ ભારતમાં જ નિર્મિત અને સુપર સોનિક એટલે કે અવાજની
ગતિ કરતાં વધારે ગતિ સાથે ઉડાન ભરી શકે છે.