નવી
દિલ્હી, તા.
9 : પાકિસ્તાન દ્વારા ગુરૂવારે રાત્રે કરવામાં આવેલા
હુમલા અને તેના વળતા પ્રહાર બાદ શુક્રવારે ફરી એક વખત વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ
કમાન્ડર વ્યોમિકા સિંહે એક પત્રકાર પરિષદમાં ઘણી બાબતોનો ખુલાસો કર્યો હતો. તેમાં કહેવામાં
આવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા ગઇ રાત દરમ્યાન 36 સ્થળે 300-400 ડ્રોન મારફતે હુમલો કરવામાં આવ્યો હતો. આ ડ્રોન પ્રાથમિક
તપાસમાં તુર્કીના હોવાનું સામે આવ્યું છે. ભારતે હુમલા નિષ્ફળ બનાવ્યા હતા. ડ્રોન હુમલાનો
હેતુ ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો અને ભારતીય રક્ષા ક્ષમતા જાણવાનો પણ હોય શકે તેવી
સંભાવના વ્યક્ત કરી હતી,
જ્યારે વળતા પ્રહારમાં ભારતે પાકિસ્તાનની ચાર એર ડિફેન્સ સિસ્ટમ નિશાને
લીધી હતી અને એક સિસ્ટમ તબાહ કરી હતી. વિક્રમ મિસરીએ કહ્યું હતું કે, પાકિસ્તાન
દ્વારા ગુરુદ્વારા, કોન્વેન્ટ અને મંદિર સહિતના પૂજા સ્થળો નિશાન
બનાવાયા છે. પાકિસ્તાને સરહદે કરેલા ગોળીબારમાં અમુક જવાનો ઇજાગ્રસ્ત થયા છે,
જ્યારે ભારતે આપેલા જવાબમાં પાકિસ્તાની સેનાને મોટું નુકસાન થયું છે.
પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે, ગુરુવારે પાકિસ્તાને
કાયરતાપુર્ણ હરકત માટે નાગરિક વિમાનોનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો. જેથી જવાબી કાર્યવાહી
કરવામાં ભારતને પરેશાની રહે. હુમલા દરમિયાન પણ પાકિસ્તાને પોતાના નાગરિક વિમાનોનું
સંચાલન બંધ કર્યું નહોતું. કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું હતું કે, પાકિસ્તાન તરફથી હુમલો કરવામાં આવ્યો ત્યારે કરાચી અને લાહોર જેવા મોટા શહેરોમાં
મુસાફર વિમાનો ઉડાન ભરી રહ્યા હતા. જેમાં સામાન્ય નાગરિકોનો જીવ જાણીજોઈને જોખમમાં
મુકવામાં આવ્યો હતો. કુરેશીએ કહ્યું હતું કે,
પાકિસ્તાને ગુરુવારે સાંજે કુલ 36 જગ્યાએ હુમલાની કોશિશ કરી હતી. જેને સેનાએ નાકામ
કરી હતી. આ દરમિયાન 300થી
400 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શરૂઆતી તપાસમાં
સામે આવ્યું છે કે,
પાકિસ્તાને ઉપયોગમાં લીધેલા ડ્રોન તુર્કીના છે. આ ડ્રોન તુર્કીના આસિસગાર્ડ
સોનગર મોડેલ હતા. જેનો ઉપયોગ દેખરેખ અને સટીક હુમલા માટે કરવામાં આવે છે. ભારતીય વાયુસેનાએ આ હુમલાનો તત્કાળ જવાબ આપતા એક
ડ્રોન કાઉન્ટર એટેક કર્યો હતો. જેમાં પાકિસ્તાનની સર્વેલન્સ રડાર પ્રણાલીને પુરી રીતે
નષ્ટ કરવામાં આવી હતી. કુરેશીએ એમ પણ કહ્યું હતું કે, ભારતે કરેલી
જવાબી કાર્યવાહી ખૂબ જ સીમિત હતી અને તેમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું છે. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું હતું કે,
8-9 મેની રાત્રે પાકિસ્તાની સેનાએ સમગ્ર પશ્ચિમી
સરહદ વિસ્તારમાં ભારતીય હવાઈ ક્ષેત્રનું વારંવાર ઉલ્લંઘન કર્યું હતું. વધુમાં એલઓસીએ
ભારે કેલિબર હથિયારથી ગોળીબાર કર્યો હતો. ડ્રોન હુમલાનો હેતુ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમની
ક્ષમતા જાણવાનો અને ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો હતો. સ્થિતિ અને સમય એ સમયે ગંભીર
બન્યા હતા જ્યારે પાકિસ્તાનનું એક સશત્ર યુએવી ભટિંડાના સૈન્ય સ્ટેશનને નિશાન બનાવવાની
કોશિશ કરી રહ્યું હતું. જો કે, સમયસર જ યુએવી નષ્ટ કરી દેવાયું હતું.