નવી દિલ્હી, તા. 15 : ઈરાની ક્રૂડની
ખરીદી અંગેની છૂટ પુરી થવાની નજીક છે. આ દરમિયાન લગભગ 20 લાખ બેરલ ક્રૂડથી ભરેલું એક
ઈરાની ઓઈલ ટેંકર `ડેર્યા' કોઈપણ સૂચના વિના ગુજરાતની નજીક પહોંચી ગયું
છે. જો કે ભારતીય રિફાઈનર આ માલને સ્વીકાર કરશે નહી. જેનું કારણ ઈરાની તેલ ઉપર લાગેલા
અમુક પ્રતિબંધ છે. એમ મીડિયા અહેવાલમાં જણાવાયું છે. જહાજ ટ્રેકિંગના ડેટા અનુસાર ટેંકરમાં
28 માર્ચના ઈરાની ક્રૂડ ભરવામાં
આવ્યું હતું. જ્યારે અમેરિકી પ્રતિબંધોમાં છૂટ અનુસાર 20 માર્ચથી પહેલા ટેંકરોમાં લાદવામાં
આવેલા ઈરાની તેલના વેચાણની જ મંજૂરી આપવામાં આવી છે. 20 માર્ચના ટ્રમ્પ પ્રશાસને વૈશ્વિક
પુરવઠાના દબાણને ઓછું કરવાના હેતુથી સમુદ્રમાં ફસાયેલા ઈરાની ક્રૂડના વેચાણની મંજૂરી
આપતા 30 દિવસ માટે પ્રતિબંધોમાં છૂટ
જાહેર કરી હતી. અમેરિકા અનુસાર આ છૂટ હેઠળ 20 માર્ચથી 19 એપ્રિલ વચ્ચે
જહાજો ઉપર પહેલાથી લાદવામાં આવેલા ઈરાની ક્રૂડ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના વેચાણને મંજૂરી
હતી. છૂટ હેઠળની ડેડલાઈન બાદ લોડ કરવામાં આવેલા માલને સ્વીકાર કરવાથી ખરીદદારોને અમેરિકી
પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે ભારતીય રિફાઈનર દ્વારા ખેપ ખરીદવાની
સંભાવના ઓછી થાય છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છૂટ મળ્યા બાદ ભારતે
ઈરાન પાસેથી થોડુ ક્રૂડ ખરીદ્યું છે પણ આ ખેપ નક્કી સમયસીમાની અંદર ખરીદવામાં આવી છે.