ગાંધીધામ, તા. 22 : પતિ દ્વારા સતત માર મરાતાં
નેપાળની વતની યુવતીનું મોત નીપજ્યું હતું. સર્વધર્મ પ્રાર્થનાસભામાં ઉપસ્થિતોએ યુવતીને
અંજલિ આપી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના
સંઘચાલક અનોખીલાલ રતોલાજીએ આજના સમયમાં દીકરીઓને
સારા સંસ્કારોની સાથે સ્વરક્ષાનું પ્રશિક્ષણ આપવું અત્યંત આવશ્યક હોવાનું કહ્યું હતું. કાંતાબેન સોલંકીએ દરેક માતાએ પોતાની દીકરીની મિત્ર બની તેનાં મનની
વાત સમજવાનો પ્રયાસ કરે, દીકરી સાથે
સતત સંવાદ જાળવવા અનુરોધ કર્યો હતો. મહાદેવભાઈ વીરાએ સમાજે આવા બનાવો સામે એકજૂથ થઈ
સમયસર અવાજ ઊઠાવવો જોઈએ તેવું જણાવ્યું હતું. પ્રાર્થનાસભામાં સૌએ
બે મિનિટનું મૌન પાળી સ્વ. સોનમ સુનારને અંજલિ
આપી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કચ્છ વિભાગ સહકાર્યવાહ નારણભાઈ ડાંગર, ગાંધીધામ વિધાનસભાનાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામનાં
મેયર દિવ્યાબેન નાથાણી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડ, પૂર્વ ધારાસભ્ય
રમેશભાઈ મહેશ્વરી તેમજ સનાતની હિન્દુ સમાજના આગેવાનો, વિવિધ સામાજિક,
ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
કચ્છ ગોરખા સમાજના પ્રમુખ વિશાલ થાપાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.