ભુજ, તા. 24 : સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા જ્યારે-જ્યારે
કચ્છ પર આફત આવી છે, ત્યારે સેવાકાર્યો
કરાયાં છે. ભૂકંપમાં પણ નવ ગામોને દત્તક લીધા હતા. એ કડીમાં આજે નવતર પહેલ ઉમેરતાં
આપત્તિ વ્યવસ્થાપન તાલીમ, ઘરોની સુરક્ષામાં ટેકનોલોજીનો ઉપયોગ
કરવા સહિતની જાહેરાત કરાઇ હતી. મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયાએ તેમના સંબોધનમાં
જાહેર કર્યું કે, કચ્છના 700 ગામોમાં એક-એક પ્રતિનિધિ પસંદ
કરીને આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ અપાશે, જેમાં જીએસડીએમએઁ તેમજ રેડક્રોસ સહયોગી રહેશે. આ ઉપરાંત દરેક ઘરોની સુરક્ષાની
સ્થિતિ એ કેટલો ધરતીકંપ ખમી શકે તેટલી સક્ષમ છે તેનું નિષ્ણાતો અને એઆઇ ટેકનોલોજીની મદદથી સોફટવેર બનાવવા
પર કામ ચાલે છે. આ સિવાયની બે જાહેરાતોમાં તેમણે કહ્યું કે, આપત્તિ
વ્યવસ્થાપન ક્ષેત્રે અભ્યાસ અને સંશોધન માટે ફેલોશિપ અપાશે તેમજ આગામી એક વર્ષ સુધી
ભૂકંપ સામે સુરક્ષા માટે શું પગલાં લઇ શકાય ? શું જરૂરી છે
? એ વિષયે જાગૃતિ માટે કચ્છમિત્રમાં કોલમ પ્રસિદ્ધ કરાશે.