ગાંધીધામ, તા. 18 : વેકેશનના ગાળામાં જેમ કચ્છથી મુંબઈ જવા માટે ટિકિટ મળતી નથી, પરંતુ ઉત્તર ભારત તરફની ટ્રનોમાં બારેય મહિના હાઉસફુલની સ્થિતિ હોય છે. પ્રવાસીઓની સુવિધા માટે રેલવે દ્વારા જાહેર કરાયેલી અને આવતીકાલે ગાંધીધામથી બિહારની વિશેષ ટ્રેનમાં ગણતરીની મિનિટોમાં જ વેઈટિંગ લિસ્ટના પાટિયા ઝૂલ્યા હતા. આ પરિસ્થિતિ જોતાં ઉત્તર ભારત તરફની ચાલુ ટ્રેનની ફ્રિકવન્સી વાધારવાની માંગ પ્રબળ બની છે. કચ્છમાં ભૂકંપ બાદ સ્થપાયેલા ઉદ્યોગોના કારણે ઉત્તર ભારતના લોકો હજારોની સંખ્યામાં કચ્છમાં વસવાટ કરે છે. અગાઉ બિહારની સીધી કોઈ ટ્રેન ન હોવાના કારણે લોકોને વતન જવામાં ટ્રેનો બદલાવીને પહોંચવું પડે છે અને જનરલ કોચ તો ઠીક સ્લીપર કલાસમાં પણ પગ મૂકવાની જગ્યા ન હોય તેવી સ્થિતિ સર્જાય છે. શરૂઆતમાં ગાંધીધામ-ભાગલપુર વેકેશન સ્પેશિયલ દોડાવી ત્યારે પણ તે પાંચ મિનિટમાં પેક થઈ ગઈ હતી અને તેને સતત મળતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને હાલ સપ્તાહમાં એક વખત ગાંધીધામથી વિશેષ શ્રેણીના દરજ્જા સાથે દોડાવવામાં આવે છે. રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે આવતીકાલે ગાંધીધામથી બિહારના દાનાપુર વચ્ચે વેકેશન સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. આ ટ્રેનનું રિઝર્વેશન આજે સવારે ખૂલતાં જ આઠ મિનિટમાં જ આર.એ.સી. અને 10 મિનિટમાં જ સ્લીપર અને એસીની શ્રેણીમાં વેઈટિંગ લિસ્ટ આવી ગયું હતું. આ ટ્રેન રેગ્યુલર પણ દોડાવવામાં આવે તો પણ આટલો જ ટ્રાફિક મળે તેવું પ્રવાસી વર્ગ જણાવી રહ્યો છે. ભવિષ્યમાં દીનદયાળ પોર્ટના ભાવિ પ્રકલ્પોને ધ્યાનમાં રાખતાં દેશના બીજા રાજ્યોના લોકો હજારોની સંખ્યામાં વસવાટ કરવા આવશે, ત્યારે તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવી ટ્રેનો દોડાવવાની દિશામાં પ્રયાસ જરૂરી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.