• ગુરુવાર, 02 મે, 2024

હું પણ ક્ષત્રિયોની માફી માગું છું : અમિત શાહ

અમદાવાદ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : લોકસભા ચૂંટણીના ગાંધીનગર બેઠકના ઉમેદવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગર લોકસભાની 6 વિધાનસભામાં 14 કિમી લાંબો રોડ-શો કરીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. સાણંદથી રોડ શોની શરૂઆત થઈ હતી. રોડ શોમાં અબકી બાર 400 પાર અને જય શ્રી રામના નારા વચ્ચે ક્ષત્રિય સમાજના વિરોધ પર પહેલીવાર બોલતાં શાહે કહ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલાએ માફી માગી છે. હવે હું પણ માફી માગું છું. શાહના પુત્ર જય શાહ પણ રેલીમાં જોડાયા હતા. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે.  દરમિયાનમાં અમિત શાહે રોડ શો પૂર્વે ટ્વિટ કરતાં કહ્યું હતું કે, મારા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના બહેનો અને ભાઇઓને દેશના દરેક ક્ષેત્રમાં નંબર 1 તેમજ ગાંધીનગરને દેશના સૌથી વિકસિત લોકસભા મતવિસ્તારોમાંથી એક આદર્શ લોકસભા બનાવવાના ઉદ્દેશથી ફરી એકવાર કમળ ખીલે અને મોદીજીને ફરી વડાપ્રધાન બનાવવા આશીર્વાદ આપવા આહ્વાન કરીશ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ફરી ચૂંટણી લડી રહ્યા છે. દરમિયાન ભાજપે વિજય શંખનાદ રોડ શોનું આયોજન કર્યું હતું. રેલીની શરૂઆત સાણંદથી થઈ હતી. રેલી દરમ્યાન ભારે જનમેદની ઉમટી પડી હતી. કાર્યકર્તાઓ પણ ઉત્સાહમાં આવ્યા હતા. અમિત શાહે રેલીમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ શો દરમિયાન અમિત શાહે જનમેદનીને સંબોધી હતી અને નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે અને 400ને પાર કરવા માટે જોડવાનું આહ્વાન કરતાં જંગી બહુમતીથી જીતાડવા માટે કહ્યું હતું. અમિત શાહનો રોડ-શો ઘાટલોડિયા પહોંચ્યો ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ અને રાજ્યના ગૃહમંત્રી અમિત શાહ પણ રોડ શોમાં જોડાયા હતા. નોંધનીય છે કે, ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ એપીએમસી સર્કલ ખાતેથી મેગારેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઊમટી પડ્યા હતા. ત્યાર બાદ સાબરમતી વિધાનસભાના રાણીપ શાક માર્કેટથી બીજો રોડ શો શરૂ કર્યો હતો. ત્યાર બાદ ઘાટલોડિયા વિધાનસભાના વિસ્તારમાં ત્રીજો રોડ શો કર્યો હતો. ત્યાર બાદ અમિત શાહે નારણપુરા વિધાનસભા વિસ્તારમાં ચોથો રોડ શો કર્યો હતો. છેલ્લે તેમણે વેજલપુરમાં જાહેર સભાને સંબોધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang