અંજાર, તા. 18 : ઐતિહાસિક એવા આ શહેરના મોમાયનગર વિસ્તારમાં મોમાય મંદિરની બાજુમાં રહેનાર ભાજપના અગ્રણીનાં બંધ મકાનોનાં તાળાંઓ તોડી તસ્કરો હાથ મારી ગયા હતા. સાથોસાથ ફ્રીઝમાં રાખેલા સૂકા મેવા પણ હજમ કરી ગયા હતા. શહેરના મોમાયનગરમાં મોમાય મંદિરની સામે રહેનાર ભાજપના અગ્રણી શંભુભાઇ રામજી વીરડા (આહીર) અને તેમના ભાઇ દિનેશભાઇ ગત તા. 16/4ના આઠમ હોવાથી પોતાના પરિવાર સાથે સવારના ભાગે બિટાવલાડિયા ગામે માતાજીનાં મંદિરે દર્શનાર્થે ગયા હતા. આ પરિવારો સમીસાંજે પોતાનાં ઘરે પરત ફર્યા હતા.પોતાનાં ઘરે આવતાં ઘરના દરવાજાનાં તાળાં તૂટેલાં જણાયાં હતાં જેથી આ અગ્રણીએ પોલીસને જાણ કરતાં પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી. તેમના ઘરમાંથી તસ્કરોએ ધોળા દિવસે હાથ માર્યો હતો. મકાનમાં દાગીના કે રોકડ રકમ ન હોવાથી હાશકારો થયો હતો, પરંતુ તસ્કરોએ બાળકોએ બચત કરેલા ભંભોટિયામાંથી રોકડ રૂા. 25 હજાર તફડાવી ગયા હતા. આ બંને મકાનોમાં કબાટ તોડવામાં આવ્યા હતા. તસ્કરોને વધુ કાંઇ હાથ ન લાગતાં ફ્રીઝમાં રહેલા સૂકા મેવા?ખાધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ આ મકાનની સામેના ભાગે રહેનાર જૈન વૃદ્ધ દંપતી ઉપર હુમલો કરી લૂંટનો બનાવ બન્યો હતો. તેવામાં ફરીથી આ જ વિસ્તારમાં ધોળા દિવસે બે મકાનોમાં તસ્કરો ત્રાટકતાં ભારે ચકચાર પ્રસરી હતી. જો કે, આ બનાવ અંગે પોલીસ ચોપડે ફરિયાદ ચડી નહોતી.