ગાંધીધામ, તા. 29 : ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ કરાચી બંદરની
અવેજીમાં નિર્માણ પામેલું કંડલા મહાબંદર પશ્ચિમ ક્ષેત્રનું હિન્ટરલેન્ડ ગણાય છે અને દેશના
અનેક રાજ્યો આયાત-નિકાસની બાબતમાં કંડલા મહાબંદર
ઉપર જ આધારિત છે. આજે જેટી ઉપરગાબડાં પડવાની ઘટના બની હતી. કોઈ જાનહાનિ નથી
થઈ, પરંતુ
પોર્ટનાં નવાં માળખાંને વિકસાવવાનું ઝડપી અમલીકરણ કરવાની વોર્નિંગ બેલ આ ઘટના છે. નવા પોર્ટના પ્રકલ્પ ઉપર વડાપ્રધાનની પણ નજર છે.કચ્છના મહારાવ દ્વારા
કંડલા બંદરે પ્રથમ જેટીનું નિર્માણ કરાયું હતું. ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ કંડલા ખાતે પોર્ટનું નિર્માણ કરાયું હતું અને પ્રવર્તમાન સમયમાં ચાર જેટી બાંધવામાં
આવી હતી અને ત્યાર બાદ ક્રમશ: જેટીઓનું નિર્માણ કરાયું હતું. આજે પોર્ટની તમામ જેટીઓનું આયુષ્ય હાલ પૂરું થઈ ગયું છે. પોર્ટ
પ્રશાસન દ્વારા વર્તમાન જેટીઓના મજબૂતીકરણ માટે વિવિધ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે અને આ સંદર્ભે આઈ.આઈ.ટી.-મદ્રાસ સાથે પણ કરાર કરાયા છે, પરંતુ સવાલ
એ છે કે, ચારથી સાત દાયકા જૂની જેટીઓ ક્યાં સુધી ચાલશે. કંડલા
બંદર મહત્ત્વનું બંદર છે. જો મજબૂત માળખાંના વિસ્તૃતીકરણની દિશામાં ઝડપથી નહીં કરાય
તો ભવિષ્યમાં સમગ્ર દેશના એક્ઝિમ ટ્રેડને અસર
પડશે તેવું આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો જણાવી રહ્યા છે. કંડલા બંદર સતત દેશના તમામ
મહાબંદરોમાં પ્રથમ નંબરે જ રહ્યું છે. પોર્ટને મોડર્નાઈઝ બનાવવાની દિશામાં પ્રશાસન દ્વારા સમયાંતરે વિવિધ પગલાં લેવામાં આવી
રહ્યાં છે. પોર્ટના હયાત માળખાં ઉપરાંત દરિયાઈ ક્રીકમાં પોર્ટ વિકસવાવાની દિશામાં ઝડપી
કામગીરી સમયની માંગ હોવાનું ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું
કે, પશ્ચિમી ક્ષેત્રના એક્ઝિમ વેપાર માટે એક મુખ્ય બંદર છે. કચ્છના અખાતમાં
પોર્ટની કામગીરીને વિસ્તૃત કરવા માટે
અપાર સંભાવનાઓ છે. તેમણે કહ્યું હતું
કે, વર્ષ 2024માં ગાંધીધામ ચેમ્બર દ્વારા બંદરની દક્ષિણ બાજુએ દરિયાકાંઠા વિસ્તારમાં નવા
ડ્રાય કાર્ગો બર્થનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.આ દરમ્યાન નકશા સાથે
પ્રસ્તાવિત 16 જેટીના નિર્માણનો પ્રસ્તાવ
ચેમ્બર દ્વારા મૂકવામાં આવ્યો હતો. જો કે, શરૂઆતમાં ત્રણથી ચાર બર્થના નિર્માણની દિશામાં સક્રિય વિચારણા કરવા રજૂઆત કરાઈ
હોવાનું માનદમંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું. તાજેતરમાં ગાંધીધામની મુલાકાતે આવેલા કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલે કંડલામાં 30 હજાર કરોડના ખર્ચે દરિયાઈ ક્રીક
વિસ્તારમાં મેગા પોર્ટ બનાવવાની જાહેરાત કરાઈ હતી. વર્તમાન 16 નંબરની જેટીથી આગળ દરિયાકિનારે
આધુનિક ટર્મિનલનું નિર્માણ કરવાની જાહેરાત કરાઈ હતી અને કેન્દ્ર સરકાર દ્વારા તુરંતમાં
આ અંગેની કાર્યવાહી કરાશે તેવી જાહેરાત કરાઈ હતી. જે-તે સમયે આ પોર્ટના નિર્માણ ઉપરાંત
વર્તમાન કાર્ગો જેટીને ઓઈલ જેટીમાં કન્વર્ટ કરવાની પણ યોજના છે. તાજેતરમાં ભાવનગરની
મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દમેગા પોર્ટ પ્રોજેક્ટના મોડેલ અંગે ચેરમેન
સુશીલકુમાર સિંઘે માહિતી આપી હતી. વડાપ્રધાને આ પ્રકલ્પ ત્રણથી ચાર વર્ષમાં પૂર્ણ કરવા
માટે જણાવ્યું હતું. અત્રે
ઉલ્લેખનીય છે કે, સતત 16 વર્ષ કરતાં પણ વધુ સમયથી પોર્ટ
જૂનાં સિવિલ માળખાં સાથે અગ્રેસર રહ્યું છે.
કાર્ગો હેન્ડલિંગમાં વૈશ્વિક પડકારો વચ્ચે પણ નોંધપાત્ર સિમાચિહ્નો સર કર્યા છે, ત્યારે જો સમયની માંગ સાથેનું આધુનિક માળખું
વિકસાવવામાં આવશે, તો
પોર્ટની ક્ષમતા અનેકગણી વધી જશે. આજની ઘટનાને ધ્યાનમાં રાખીને આ દિશામાં ત્વરિત
પગલાં લેવાય તેવું એક્ઝિમ વ્યાપાર સાથે સંકળાયેલા લોકો માંગ કરી રહ્યા છે. - અંડરપાસ સહિતની
સુવિધા સાથેનું પ્રથમ રેલવે સ્ટેશન : ગાંધીધામ, તા. 29 : કેન્દ્રીય શિપિંગ મંત્રી દ્વારા
જાહેર કરાયેલા કંડલા ક્રીક વિસ્તારમાં મેગા પોર્ટનો પ્રોજેક્ટ બે મહિનામાં આકાર લેશે તેવું ડીપીએ ચેરમેને જણાવ્યું હતું. ડીપીએ
ચેરમેન સુશીલકુમાર સિંઘે કચ્છમિત્ર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રોજેક્ટના એલાઈન્મેન્ટમાં બદલાવ કરાયો છે
અને ડીપીઆર સહિતની પ્રક્રિયા શિપિંગ મંત્રાલયમાં ચાલી રહી છે, ત્યારે બહુ થોડા જ
સમયમાં પોર્ટના વિકાસ માટેનો મહત્ત્વનો પ્રોજેક્ટ આગળ ધપશે તેવું જણાવ્યું હતું.