ગાંધીધામ, તા. 7 : સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલથી
લઈને ચાવલા ચોક સુધી તેમજ વચલી બજારના વેપારીઓને પોતાનાં વાહન દુકાન પાસે અથવા દુકાનની
સામે પાર્ક કરવાના બદલે સાઉથમાં બનાવેલા નવા પાર્કિંગ પ્લોટમાં પાર્કિંગ કરવા માટે
સૂચના આપવામાં આવી છે. ગાંધીધામ મહાનગરપાલિકાનું
તંત્ર તેમજ તેની દબાણ હટાવ શાખા અને પોલીસે વેપારી એસોસિયેશન સાથે બેઠક કરીને ચાવલાચોકની
પાછળ નવનિર્મિત પાર્કિંગ પ્લોટમાં વેપારીઓએ પોતાનાં વાહનો પાર્ક કરવા માટે સમજાવવામાં
આવ્યા હતા. મહાનગરપાલિકાના દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રીપ્રસાદ જોશી તેમજ લક્ષ્મણ બુચિયા
સહિતના કર્મચારીઓ અને તેની સાથે પોલીસ જવાનોએ વેપારીઓ પાસે જઈને વાહન પાર્કિંગ માટે
ચર્ચાઓ કરી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલથી ચાવલાચોક અને વચલી બજારના વેપારીઓને પોતાનાં
વાહનો પાર્કિંગ પ્લોટમાં જ પાર્ક કરવા માટે કહ્યું હતું મુખ્ય બજારની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે પાર્કિંગ
પ્લોટ બનાવવામાં આવ્યો છે અને વેપારીઓ અને લોકો બંને વાહન પાર્કિંગ કરી શકે તે માટેની
વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, જેના
પગલે જ મહાનગરપાલિકા અને પોલીસે વેપારીઓ સાથે બેઠક કરી હતી ત્યારબાદ મહાનગરપાલિકાના
અધિકારીઓ અને કર્મચારીઓએ વેપારીઓ પાસે જઈને પોતાનાં વાહનો પોતાની દુકાનની બાજુમાં અથવા
સામેની બાજુ પાર્ક કરવાના બદલે આ પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરવા માટે જણાવ્યું હતું
અને સૂચનાઓ પણ આપી હતી સાઉથનો પાર્કિંગ પ્લોટ કાર્યરત કરી દેવામાં આવ્યો છે અને આગામી
સમયમાં નોર્થમાં પણ નવા પાર્કિંગ પ્લોટનું નિર્માણ થઈ જશે અને તે માટેની કામગીરી પણ
શરૂ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા જે દબાણ કારો દબાણ હટાવતા નથી તેમને પણ
આજે દબાણ દૂર કરવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે.