• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

ગ્રામીણ મહિલાઓની આવક વધારવા માર્ગદર્શન

ભુજ તા. 28 :  જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ કાર્યરત કર્મચારીઓની કામગીરી વધુ સચોટ અને પરિણામલક્ષી બને તે હેતુથી  વિશેષ રિફ્રેશમેન્ટ તાલીમ યોજવામાં આવી હતી. `લખપતિ દીદી' યોજના અંતર્ગત મહિલાઓને વિવિધ વ્યવસાયો સાથે જોડવા અને તેમની આવક વધારવા માટે બિઝનેસ પ્રપોઝલ તૈયાર કરવાનો સેમિનાર પણ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે ઉપસ્થિત રહીને કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે તમામ યોજનાઓનું અસરકારક અમલીકરણ કરવા અને ગ્રામીણ મહિલાઓના આજીવિકા વિકાસ માટે પરિણામલક્ષી અભિગમ અપનાવવા જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નિયામક દ્વારા કર્મચારીઓને માઇક્રો પ્લાનિંગ સાથે કામ કરવાની સલાહ આપવામાં આવી હતી. ગામ અને ક્લસ્ટર સ્તરે ઉપલબ્ધ સાધન-સંપત્તિ, બહેનોની જરૂરિયાતો અને સ્થાનિક તકોને ધ્યાનમાં રાખીને સુવ્યવસ્થિત આયોજન કરવા પર તેમણે ભાર મૂક્યો હતો.  જિલ્લા કક્ષાના કર્મચારીઓ દ્વારા  વિવિધ શાખા હેઠળ થતી કામગીરીનું ગેપ એનાલિસીસ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા કામગીરીમાં રહેતી ક્ષતિઓ અને પડકારોને ઓળખીને ગુણવત્તાયુક્ત અમલીકરણ તથા સારાં પરિણામો મેળવવા અંગે જરૂરી માર્ગદર્શન અપાયું હતું. વર્કશોપમાં ખાસ કરીને સ્વસહાય જૂથો આધારિત પ્રવૃત્તિઓ, યોગ્ય વ્યવસાયની પસંદગી, આવક-ખર્ચનું સંચાલન, બજાર જોડાણ અને વ્યવહારુ બિઝનેસ પ્રપોઝલ બનાવવાની સરળ સમજ આપવામાં આવી હતી, જેથી ગ્રામીણ મહિલાઓ ટકાઉ વ્યવસાય થકી નિયમિત અને સારો નફો મેળવી શકે. કર્મચારીઓને ફિલ્ડ સ્તરે વધુ સક્રિય રીતે કામ કરી મહત્તમ લાભ મહિલાઓ સુધી પહોંચાડવા અને `લખપતિ દીદી'ના નિર્ધારિત લક્ષ્યાંકને સફળ બનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમ જિલ્લા લાઇવલીહૂડ મેનેજર ભાવિન સેંઘાણી દ્વારા જણાવાયું છે.

Panchang

dd