ગાંધીધામ, તા. 23 : દેશના તમામ મહાબંદરોમાં સર્વાધિક કાર્ગો હેન્ડલિંગ કરીને નંબર વનનું સ્થાન
યથાવત્ રાખનારા દીનદયાળ પોર્ટ દ્વારા પોર્ટમાં મિકેનિઝમની દિશામાં અનેક પગલાં લેવાયાં
છે, ત્યારે મિકેનિઝમને વધુ મજબૂત બનાવવાની દિશામાં પોર્ટ પ્રશાસન દ્વારા પગલાં લેવાયાં
છે. આજે જર્મનના પ્રતિનિધિ મંડળે પોર્ટની મુલાકાત
લઈને તે દિશામાં ચર્ચા-વિચારણા કરી હતી. આ ઉપરાંત વિદેશી પ્રતિનિધિ મંડળે પોર્ટ કોલોની
ખાતે આયોજિત કથામાં હાજરી આપી ભારતીય સંસ્કૃતિનાં દર્શન કર્યાં હતાં. જર્મનીનું પ્રતિનિધિ
મંડળ આજે સવારે કંડલા બંદરે પહોચ્યું હતું.
જર્મન એન્જિનીયરિંગની ટેકનોલોજી દીનદયાળ પોર્ટમાં કઈ રીતે લાગુ કરી શકાય તે અંગેની
શક્યતા ચકાસવામાં આવી હતી. ડીપીએ ચેરમેન સુશીલકુમાર સિંઘે પ્રતિનિધિ મંડળને આવકાર્યા
હતા અને પોર્ટના ભાવિ પ્રોજેકટ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. અધ્યક્ષે ગ્રીન હાઈડ્રોજન હબ, મેગા પોર્ટ સહિતના પ્રોજેક્ટો અંગે માહિતી આપી હતી.
જર્મનના પ્રતિનિધિ મંડળે પોર્ટની મુલાકાત લઈને
હેન્ડલિંગની કામગીરી નિહાળી હતી. બાદમાં બપોરે ડીપીએ પોર્ટ કોલોની ગોપાલપુરી ખાતે પુરુષોત્તમ
માસ નિમિત્તે ગોપાલપુરી સાર્વજનિક મિત્રમંડળ દ્વારા આયોજિત શિવમહાપુરાણ કથામાં ભાગ
લીધો હતો. વકતા કૃપાદીદી દ્વારા પ્રતિનિધિ મંડળનું સન્માન કરાયું હતું.