હૃષિકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 21 : ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો માટે એક જ તબક્કામાં 7મી મેના ચૂંટણી યોજાશે. આ વખતની ચૂંટણીમાં વિપક્ષ તરફથી એવો દાવો કરાય છે કે, કોઈની પણ તરફેણ કે વિરુધ્ધમાં કોઈ લહેર નથી પરંતુ જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર હોય તો પછી, દેશમાં કોઈ મુદ્દો કે લહેર હોય કે ના હોય ગુજરાતમાં તો, ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તો ભાજપ તરફી મતદાન થાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. ખાસ કરીને ઊંચું મતદાન થાય તો કેસરિયા પક્ષને ફાયદો જોવાય છે. ગત 2019માં યોજાયેલી ચૂંટણી દરમ્યાન રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા 4.51 કરોડ જેટલી હતી. જેમાંથી 64.51 ટકા અર્થાત 2.91 કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ભાજપને 62.21 અને કોંગ્રેસને 32.11 ટકા વોટ મળ્યાં હતા પરિણામ સ્વરુપ ભાજપે રાજ્યની તમામ 26 બેઠકો ઉપર કેસરિયો લહેરાવી દીધો હતો. 2014ની લોકસભાની ચૂંટણીમાં યુપીએ સરકારના કથિત ભ્રષ્ટાચાર તથા નરેન્દ્ર મોદી જેવા ગુજરાતના સપૂત વડાપ્રધાન પદના ઉમેદવાર હોવાથી તથા 2019ની ચૂંટણીમાં પુલવામા-આતંકી હુમલા જેવી ઘટના બાદ ભારત તરફથી પાકિસ્તાનની અંદર ઘૂસીને કરાયેલી એર-સ્ટ્રાઈક જેવા મુદ્દાને કારણે દેશભરમાં ભારે દેશદાઝનો માહોલ સર્જાયેલો હતો. જેના કારણે દેશમાં ભાજપને કુલ 303 બેઠકો મળી હતી અને એમાં પણ ગુજરાતે ભાજપને રાજ્યની તમામ 26 બેઠકોની ભેટ ધરી હતી. અહીં નોંધવું ઘટે કે,2014 અને 2019ની ચૂંટણીમાં અસામાન્ય રાજકીય પરિબળોએ પરિણામોમાં ભાગ ભજવ્યો હતો એવો દાવો થઈ રહ્યો છે પરંતુ આજની સ્થિતિએ એવા કોઈ પરિબળો ન હોવાને કારણે સામાન્ય રાજકીય માહોલમાં ચૂંટણી યોજાઈ રહી છે પરંતુ જાણકારોના કહેવા મુજબ દેશમાં ગમે તેવા સંજોગો હોય પણ વડાપ્રધાન પદના ઉમેદવાર તો મોદી જ છે અને હજુ તેમની લોકપ્રિયતા અંકબંધ છે એટલે ભાજપ-કોંગ્રેસના વોટ ઉપરાંત મોદીના નામે, તેમના ઉપરના વિશ્વાસને કારણે મળનારા મતની ટકાવારી ખૂબ ઉંચી રહેતી હોય છે અને આ વખતે પણ રહેશે, એમ મનાય છે. ગુજરાતમાં સામાન્ય સંજોગોમાં ભાજપનો મત હિસ્સો 49-50 ટકા અને કોંગ્રેસનો વોટ-શેર 39-40 ટકા રહેતો હતો. ગત 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપને 52 ટકા વોટ-શેરની સામે કોંગ્રેસનો વોટ-શેર 27.3 ટકા આમ આદમી પાર્ટીનો વોટ-શેર 12.9 ટકા રહ્યો હતો. જો, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વોટ-શેરનો સરવાળો કરીએ તો પણ તે કુલ વોટ-શેર 40.2 ટકા થાય છે પરંતુ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મોટો ફેર હોય છે. ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના વોટ શેરની આ દલીલ ત્યારે સાચી સાબિત થાય કે જ્યારે વડાપ્રધાન પદે અન્ય કોઈ ઉમેદવાર હોય પણ 2024ની આ સામાન્ય રાજકીય માહોલ વચ્ચેની ગણાતી આ ચૂંટણીમાં પણ વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હોવાથી સામાન્ય રાજકીય સંજોગોમાં ભાજપને મળતાં વોટ ઉપરાંત મોદીની લોકપ્રિયતાને કારણે મળનારા વોટનો ચોક્કસ ભાજપના વોટ-શેરમાં વધારો થશે. એમ સમજાય છે કે, ગુજરાતમાં આ વખતે 2,54,69,723 પુરુષ તથા 2,39,78,243 મહિલા મતદારો મળીને કુલ મતદારોની સંખ્યા 4,94,49,469ની છે અર્થાત ગત 2019ની ચૂંટણી કરતાં આ વખતે 2024ની ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યામાં આશરે 43 લાખ મતદારોનો વધારો થયો છે. આવી સ્થિતિમાં રાજ્યની તમામ બેઠકો ઉપર ભારે મતદાન થાય તે આવશ્યક મનાય છે. એનું કારણ એમ સમજાય છે કે, ગુજરાતમા 2019ની ચૂંટણીમાં ભાજપને 62.21 અને કોંગ્રેસને 32.11 ટકા મત મળ્યાં હતા અને જો આ વખતે 2024માં પણ લગભગ મત હિસ્સાની આ ટકાવારી સચવાય તો દરેક બેઠક ઉપરના ભારે મતદાનનો સીધો વધારાનો લાભ ભાજપને મળે અને તેના ઉમેદવારોની જીતનો તફાવત વધી શકે કેમકે રાજ્યના કુલ સરેરાશ મતદાનમાંથી કોંગ્રેસને મળનારા વોટની ચકાવારી તો, 32 ટકા જેટલી જ છે અને હાલના સંજોગામાં આ ટકાવારીમાં મોટો વધારો થવાની શક્યતા નહિવત છે. જ્યારે ભાજપના વોટની ટકાવારી 62 ટકા છે અર્થાત જો, મતદાન વધે તો, આ વધારાના મતદાનથી મળનારા વોટ પણ ભાજપના ઉમેદવારને જ મળી શકે અને આ રીતે ભાજપની બેઠક પ્રમાણેની લીડનો તફાવત 5 લાખ સુધી પહોંચી શકે.