ભુજ, તા. 24 : અંજાર પોલીસ મથકમાં નવેમ્બર-2012માં દાખલ થયેલા સુમનબેન નામના મહિલાના આત્મહત્યા બાબતે દાખલ થયેલી દૂપ્રેરણની ફરિયાદના કેસમાં મરનારના પુત્રવધૂ માયાબેન ઉર્ફે મમુબેન રવિભાઇ મહેશ્વરી અને તેના બે ભાઇ જગદીશ નારાણ બારા અને વાલજી નારાણ બારાનો નિર્દોષ છુટકારો થયો હતો. આરોપીઓ પૈકીના માયાબેનને હેરાન-પરેશાન કરાતા હોવાની ફરિયાદ સાથે આરોપીઓએ ધાકધમકી કરતા મરનારે આપઘાતનું પગલું ભર્યું હોવાની નરેશ નારાણભાઇ મહેશ્વરીએ આ ફરિયાદ લખાવી હતી. અંજાર સ્થિત અધિક સેશન્સ કોર્ટ સમક્ષ આ કેસ ચાલ્યો હતો. સુનાવણી દરમ્યાન 19 સાક્ષી અને 23 દસ્તાવેજી પુરાવા તપાસી, બન્ને પક્ષને સાંભળી ન્યાયાધીશ કે.કે. શુક્લાએ ત્રણેય આરોપીને નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપીઓ વતી વકીલ તરીકે ગાંધીધામના પ્રવીણકુમાર એ. રવાણી રહ્યા હતા. - મનાઇ હુકમ આપતો આદેશ : ભુજ તાલુકાના માનકૂવા ગામે ખેતીની માલિકીની ખેતીની જમીનમાં અપપ્રવેશ અને નુકસાન સહિતની ફરિયાદ સાથે કરાયેલા મનાઇ હુકમનો દાવો સિવિલ કોર્ટ દ્વારા નામંજૂર કરાયા બાદ આ માટે પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ કોર્ટ સમક્ષ માગણી કરાઇ હતી. ન્યાયાધીશે નીચેની કોર્ટનો હુકમ રદ કરી અરજદાર શિવજી ગાવિંદ પૂંજા વેકરિયા તરફે મનાઇહુકમ આપતો આદેશ કર્યો હતો. અરજદારના વકીલ તરીકે દેવાયત એન. બારોટ, કે.એન. ગઢવી, ઉમૈર એ. સુમરા, રામ એમ. ગઢવી, મહેશ વી. પુરાણિયા અને ખુશાલ જે. મહેશ્વરી રહ્યા હતા.