ચેન્નાઇ, તા.27 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
(આરસીબી) ટીમ શુક્રવારે આઇપીએલની મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે) વિરુદ્ધ ટકરાશે
ત્યારે તેની નજર 17 વર્ષનો ઇંતઝાર
ખતમ કરવા પર હશે. આરસીબીને સીએસકના ગઢ ચેપોક મેદાન પર છેલ્લે 2008માં જીત મળી હતી. જે આઇપીએલની
પ્રથમ સીઝન હતી. હવે જો 18મી સીઝનમાં
ચેપોક પર ધોનીની ટીમને હાર આપવી હશે તો કોહલીની ટીમે શાનદાર દેખાવ કરવો પડશે. આ હાઇ
વોલ્ટેજ મેચને લઇને ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આરસીબીમાં ફક્ત વિરાટ કોહલી જ એ મેચનો
હિસ્સો હતો. તે હવે બીજીવાર સીએસકેનો કિલ્લો ભેદવા માંગશે. જો કે આરસીબીની રાહ આસાન
નહીં રહે. કારણ કે સીએસકે ટીમ ચેપોકની સ્પિનરોને મદદગાર પીચ પર વિરોધી ટીમને કાંટે
કી ટક્કર આપવા તૈયાર છે. ટીમ પાસે અનુભવી સ્પિન જોડી રવીન્દ્ર જાડેજા-રવિચંદ્રન અશ્વિન
છે. અશ્વિન આ સીઝનમાં ફરી ટીમ સાથે જોડાયો છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનનો જાદુઇ સ્પિનર
નૂર અહમદ પણ છે. જેણે મુંબઇ સામેના પાછલી મેચમાં 4 વિકેટ લીધી હતી. શુક્રવારે રમાનાર મેચમાં પણ ચેપોકની સ્પિનરોને
મદદ કરતી પિચ જોવા મળી શકે છે. આરસીબી ઇલેવનમાં સંભવત: ટીમ ડેવિડના સ્થાને જેકેબ બેથેલને
તક મળી શકે છે. ઝડપી બોલર ભુવનેશ્વરની ફિટનેસ પર પણ ટીમની નજર રહેશે. જે પહેલા મેચમાં
કોલકતા સામે રમી શક્યો ન હતો. બીજી તરફ ચેન્નાઇને
તેના મધ્યક્રમના બેટધરો પાસેથી સારા દેખાવની આશા રહેશે. શિવમ દૂબે, દીપક હુડ્ડા અને સેમ કરન પાછલા મેચમાં પ્રભાવ
છોડી શકયા ન હતા.