ગિરીશ એલ. જોશી દ્વારા : માતાના મઢ (તા. લખપત), તા. 13 : કચ્છના સુપ્રસિદ્ધ
યાત્રાધામ માતાના મઢ સ્થિત ચાચરાકુંડ પાસે નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આસો
નવરાત્રિ તથા શ્રાવણ માસ સહિત દરવર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા
આવે છે. આ શિવ મંદિરની ઉત્તર દિશામાં ચાચરા ભવાની મંદિર તથા દક્ષિણ દિશામાં સંત મહાત્મા
મેકરણ દાદા સ્થાપિત પ્રથમ ધૂણો આવેલો છે. સંત મેકરણ દાદા મઢ જાગીરના મહંત ગુરુ ગાંગોજીના
શિષ્ય હતા. તેઓએ કિશોર અવસ્થામાં અહીં પાંચ વર્ષ રહીને આ નાગેશ્વર મહાદેવની સેવાપૂજા
કરી હતી અને પ્રથમ ધૂણાની સ્થાપના કરી જપ-તપ કર્યા હતા. વર્તમાન સમયમાં રીતલા મંદિરના
મહંત રુદ્રગિરિ બાપુ સેવાપૂજા કરી રહ્યા છે. પુરાતન સમયથી આ શિવ મંદિર મઢ જાગીર હસ્તક
આવેલું છે. આજે ગુજરાત સરકારના યાત્રાધામ પ્રવાસન બોર્ડ દ્વારા ચાચરાકુંડ સહિતના પ્રાંગણને
કરોડોનાં ખર્ચે સુશોભિત કરવામાં આવ્યું છે. શ્રાવણ માસમાં અહીં શિવ -શક્તિના ઉપાસકો
દ્વારા ચાર પ્રહરની પૂજા, લઘુરુદ્ર,
મહારુદ્ર સહિતની પૂજા-અર્ચના કરવામાં આવે છે.