ભુજ, તા.13 : ભારતના સ્વાતંત્રયના 75મા વર્ષ નિમિત્તે દેશમાં વર્ષ 2022માં `હર ઘર તિરંગા' અભિયાન શરૂ થયું છે, દેશની
આન બાન અને શાન સમા આ રાષ્ટ્રધ્વજની આમાન્યાયે જાળવવી જરૂરી છે, જેના નિયમોને પાળી ઘર પર તિરંગો લહેરાવવો જોઈએ, તો આ
રાષ્ટ્રીય તહેવાર ઊજવવા બજારમાં અવનવા ઝંડા, સ્ટિકર, બ્રોચ, બાઈક સ્ટેન્ડ, ટેટૂ વગેરે
સામગ્રી ઉપલબ્ધ બની છે. આપણો રાષ્ટ્રધ્વજ માત્ર ધ્વજ નહીં, દરેક
ભારતીયની ઓળખ અને દિલમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે, આ રાષ્ટ્રધ્વજ
ફરકાવવા માટે કેટલાક નિયમો બનાવાયા છે, જેમાં ધ્વજની સાઈઝ ઓછામાં
ઓછી 2+3 ફૂટ હોવી જોઈએ, કલરના ક્રમમાં ફેરફાર ન હોવો જોઈએ, રાષ્ટ્રધ્વજને
જમીન, પાણી કે ગંદકીવાળી જગ્યાનો સ્પર્શ ન થવો જોઈએ, તો કોઈ પણ વસ્તુ ઢાંકવા, પહેરવેશ, પ્રચાર માટે જાહેરખબરમાં પણ તેનો ઉપયોગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
અને ખાસ કરીને રાષ્ટ્રધ્વજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ફરકાવવો જોઈએ. જો રાષ્ટ્રધ્વજ
તૂટી જાય, તો તેને માનભેર દાટી દેવામાં આવે છે. ભુજમાં જૂના રેલવે
સ્ટેશન પાસે આવેલા કચ્છ ખાદી ગ્રામોદ્યોગ સંઘના જયસુખભાઈ ટાંકે જણાવ્યું હતું કે,
અમારા ખાદી કેન્દ્રમાં આઈ.એસ.આઈ. માર્કાના અને સૂતી ખાદીમાંથી બનાવેલા
કર્ણાટકની મુંબઈ સ્થિત કે.ડી.પી. એન્ટરપ્રાઈઝ કંપનીમાંથી મગાવાય છે. સરકારની `હર ઘર તિરંગા' અભિયાન બાદ રાષ્ટ્રધ્વજની ખરીદીમાં સારો એવો ઉછાળો આવ્યો છે. અહીં 2+3થી 20+30 ફૂટ સુધીના રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ
છે, જેની કિંમત રૂા. 1050થી 25,500 સુધીની છે, જે શાળાઓથી લઈને સરકારી કચેરીઓ, ખાનગી કંપનીઓ,
ઉપરાંત ભુજનાં સ્મૃતિ વન તથા ભચાઉ નગરપાલિકામાં 20+30 ફૂટના વિશાળ કદના રાષ્ટ્રધ્વજની
ખરીદી કરવામાં આવે છે. હાલ એક પખવાડિયા દરમ્યાન અંદાજે 3.50 લાખના રાષ્ટ્રધ્વજની ખરીદી
ભુજના ખાદી ગ્રામોદ્યોગ સંઘમાંથી થઈ છે. શ્રી
ટાંકે વધુમાં જણાવ્યું કે, બજારમાં અનેક
જાતનાં કાપડમાંથી બનેલા ધ્વજ વેચાય છે, પરંતુ ખાદી ગ્રામોદ્યોગ
સંઘમાંથી માત્ર સૂતી ખાદીમાંથી બનેલા અને ચોક્કસ કલર બારીકાઈથી બનેલા રાષ્ટ્રધ્વજ વેચાય
છે. કચ્છમાં ખાદી ગ્રામોદ્યોગ સંઘની વિવિધ શાખાઓ આવેલી છે, જેમાં
માંડવીમાં ભીમાણી, ખાદી ગ્રામોદ્યોગ સંઘ, અબડાસાના કોઠારામાં પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામોદ્યોગ સંઘ તથા ભુજના કચ્છ ખાદી
ગ્રામોદ્યોગ સંઘની ગાંધીધામ, માધાપર ખાતે શાખાઓ આવેલી છે.
બીજીબાજુ ભુજની બજારમાંયે આઝાદી દિનની ઉજવણી માટે અનેક સામગ્રી
ઉપલબ્ધ બની છે, શહેરના વાણિયાવાડ નાકા
પાસે આવેલા રોયલ સ્ટેશનર્સનાં નામે છેલ્લા 25 વર્ષથી પોતાની દુકાન ચલાવતા `ઝંડાવાળા ચાચા'નાં નામથી પ્રખ્યાત બનેલા અનવરભાઈ નોડેએ જણાવ્યું હતું કે, ભૂકંપ બાદ શહેરની પ્રાથમિક શાળાઓમાં જઈ દેશભક્તિનાં પુસ્તકો, અલ્પાહાર અને 1000 જેટલા રાષ્ટ્રધ્વજ
આપવાનો સંકલ્પ કર્યો છે. તેમની પાસે તિરંગાનો ખેસ,
બંગડી, લાઈટવાળા બિલ્લા, હેરપીન અને 1થી 10 નબંરનાં કાપડના ધ્વજ ઉપલબ્ધ
છે.