કોઠારા (તા. અબડાસા), તા. 27 : અબડાસા તાલુકામાં
સત્વરે રેલવે સુવિધા મળે તેવી આશા વ્યક્ત કરાઇ હતી. નલિયાથી ગાંધીધામની ટ્રેન સુવિધા
ફરીથી શરૂ કરાય તેવી લોકમાંગ ઊઠી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજથી નલિયા 100 કિ.મી. મીટરગેજમાંથી બ્રોડગેજનું
કામ શરૂ થયું છે અને કામ પરિપૂર્ણ થયા બાદ ટેસ્ટિંગ કરાયું હતું જેમાં એન્જિન દોડાતું
જોતાં લોકો ખુશ થયા હતા. રેલવે ટ્રેકનું કામ પૂર્ણ થયું તેને છ માસ વીતી ગયા છે અને
ઇલેક્ટ્રીક લાઇન પૂર્ણતાના આરે છે. હાલમાં નલિયાથી ભુજ વચ્ચે માલગાડી દોડે છે પણ હવે
પેસેન્જર ટ્રેન જલ્દીથી શરૂ કરવામાં આવે તેની અબડાસાના રહેવાસીઓ સહિત મુંબઇ વસતા લોકો
પણ રાહ જોઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું. ટ્રેન શરૂ થતાં સ્થાનિક વેપારીઓ સાથે મુંબઇ
વસતા અબડાસાવાસીઓને ઘરબેઠા સુવિધા પ્રાપ્ત થશે. 1992માં ગાંધીધામ ટ્રેન ચાલુ હતી. બે વર્ષ આઠ ડબ્બાની એક્સપ્રેસ
ટ્રેન કાર્યરત હતી. આવી રીતે નલિયાથી ગાંધીધામ વચ્ચે પણ ફરીથી ટ્રેન શરૂ કરવા માંગ
કરાઇ હતી.