• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

પ્રશાંત વાવાઝોડું વાદળોને ભારતમાંથી ખેંચી ગયું !

નવી દિલ્હી, તા. 6 : હાલમાં પ્રશાંત મહાસાગરમાં સક્રિય થયેલા એક શક્તિશાળી ચક્રવાતને કારણે દક્ષિણ-પશ્ચિમ મોસમનાં વાદળો પૂર્વ તરફ ખેંચાઈ રહ્યાં છે, જેના લીધે ભારતના પશ્ચિમ અને દક્ષિણ ભાગોમાં વરસાદની અસ્થાયી અછત અને સૂકું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આ અસ્થાયી સ્થિતિ દેશના ખેડૂતો, જળાશયો અને દૈનિક જીવનને પ્રભાવિત કરી રહી છે, પરંતુ નિષ્ણાતોના મતે આ પ્રભાવ લાંબો સમય ટકશે નહીં અને પરિસ્થિતિ સામાન્ય થવાની પૂરી સંભાવનાઓ છે. યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સના નવા આઉટલૂક મુજબ વર્ષ 2026ના પૂર્વોત્તર મોસમ એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ભારતમાં ઉત્તમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને કેરળ, તામિલનાડુ અને શ્રીલંકામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જે આ કૃષિપ્રધાન ક્ષેત્ર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. ભલે અલ નીનો મજબૂત થઈ રહ્યો હોય, પરંતુ ભારતીય મહાસાગર ડાઇપોલના પોઝિટિવ રહેવાની પ્રબળ સંભાવના છે. પોઝિટિવ આઈઓડી પશ્ચિમી હિન્દ મહાસાગરને ગરમ રાખીને ભારત તરફ ભેજનો પ્રવાહ વધારે છે. આ અનુકૂળ સંયોજન અરબી સમુદ્રને વધુ સક્રિય બનાવે છે. જે દક્ષિણ ભારતમાં પૂર્વોત્તર મોસમ દરમિયાન સારી વર્ષા લાવવામાં મોટું યોગદાન આપે છે. પૂર્વોત્તર મોસમ મુખ્યત્વે બંગાળની ખાડીથી આવતી પૂર્વીય પવનો અને સ્થાનિક નીચા દબાણના ક્ષેત્રો પર આધારિત છે. દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી, મન્નારની ખાડી અને કોમોરિન બેસિનમાં વિકસતી આ પ્રણાલીઓ વાદળોને પશ્ચિમ તરફ ધકેલે છે. પશ્ચિમી પ્રશાંત મહાસાગરની નિક્રિયતા છતાં આ સ્થાનિક સિસ્ટમો તમિલનાડુ અને કેરળના તટીય વિસ્તારોમાં પૂરતો અને સારો વરસાદ લાવવા માટે સંપૂર્ણપણે પર્યાપ્ત સાબિત થશે.  માડેન - જુલિયન ઓસિલેશનની સક્રિયતા મોસમી ગતિવિધિઓને વધુ મજબૂત બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. દક્ષિણી રાજ્યોમાં સામાન્યથી વધુ વરસાદ રવી પાક, ભૂગર્ભ જળ રિચાર્જ અને જળાશયોના ભરાવ માટે વરદાન સાબિત થશે. આ હકારાત્મક પૂર્વાનુમાનથી ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે, જે આગામી સમયમાં કૃષિ આયોજન અને જળ સુરક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

Panchang

dd