ભુજ, તા. 24 : યોગ્ય કાનૂની માર્ગદર્શન
અને પ્રી-લિટિગેશન મધ્યસ્થતા (કોર્ટ કેસ પહેલાં સમાધાન)ના કારણે એક નિવૃત્ત આર્મી જવાનને ઝડપથી ન્યાય મળ્યો. દેશની સરહદોની રક્ષા કરીને નિવૃત્ત થયેલા કચ્છના
એક માજી સૈનિક તેમનું નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા. તેમનું માસિક પેન્શન સાતમા પગારપંચ
મુજબ ભુજ મધ્યે આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખાના તેમનાં ખાતામાં જમા થતું હતું. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં શરૂ કરાયેલી વન નેશન
- વન પેન્શન યોજના જે વર્ષ 2024 અમલી બની
તેની હેઠળ તેમની પેન્શનની રકમમાં વધારો થવા પાત્ર હતો, પરંતુ બેંકની ટેકનિકલ ખામી કે
બેદરકારીના કારણે તેમને આ વધેલી રકમ તેઓને મળતી ન હતી. નિવૃત્ત જવાન પોતાની આ સમસ્યા
માટે બેંક તરફથી કોઈ ઉકેલ ન મળતાં તેઓ બહુમાળી ભવન, ભુજ મધ્યે જિલ્લા સૈનિક કલ્યાણ
બોર્ડની કચેરીએ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (એનએએસએસએ), નવી દિલ્હીની ખાસ વીર
પરિવાર સહાયતા યોજના હેઠળ સૈનિકોની મદદ માટે નીમેલા વકીલ સાથે તેમની મુલાકાત થઈ. પ્રી-લિટીગેશન (કોર્ટ કેસ દાખલ કર્યા પહેલાં સમાધાનની
પ્રક્રિયા) હેઠળ અરજી દાખલ કરી. મધ્યસ્થતા કેન્દ્ર દ્વારા તાત્કાલિક સેન્ટ્રલ બેંક
ઓફ ઇન્ડિયાને નોટિસ પાઠવી હતી. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર મધ્યસ્થતા કેન્દ્ર,
ભુજ મધ્યે હાજર રહી બંને પક્ષ વચ્ચે વાતચીત બાદ બેંકના મેનેજરે નિવૃત્ત જવાનની રજૂઆત
સાંભળી અને સરકારના 2024ના નવા
નિયમો અનુસાર પોતાની બેંક તરફથી થયેલી ભૂલ સ્વીકારી અને તેમણે આ સમસ્યાનો સ્થળ પર જ
સકારાત્મક ઉકેલ લાવી, નિવૃત્ત જવાન અને મધ્યસ્થતા કેન્દ્ર સમક્ષ મૌખિક ખાતરી આપી કે,
જવાનનાં ખાતામાં પેન્શનની રકમ તાત્કાલિક વધારી દેવામાં આવશે ઉપરાંત અત્યાર સુધીનું
જેટલું પણ પેન્શન બાકી નીકળે છે તેની ગણતરી કરીને ટૂંક સમયમાં જ તેમનાં ખાતામાં જમા
કરી દેવામાં આવશે.